અમદાવાદઃ રાજ્યમાં પાટીદાર અનામત આંદોલનથી પાટીદાર સમાજનો ચહેરો બનેલા હાર્દિક પટેલે તાજેતરમાં જ કોંગ્રેસમાં કાર્યકારી પ્રમુખપદેથી રાજીનામુ આપ્યું હતું. તેમજ ઘણા દિવસોથી હાર્દિક પટેલ ભાજપમાં જોડાવવાની અટકળો વહેતી થઈ હતી. દરમિયાન આજે બપોરના 12.39 કલાકના વિજય મુહૂર્તમાં હાર્દિકે ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો. આ પ્રસંગ્રે હાર્દિકે જણાવ્યું હતું કે, આનંદીબેન જ્યારે ભાજપમાં માંડલથી ચૂંટણી લડતા હતા ત્યારે મારા પિતા તેમની સાથે હતા. રાષ્ટ્રના હિતની વાત હોય ત્યારે રાજા નહીં સૈનિકની ભૂમિકામાં છું. હું ઘરવાપસી નથી કરતો અમે ઘરમાં જ હતા. આ ઉપરાંત કોંગ્રેસનાં પૂર્વ નેતા શ્વેતા બ્રહ્મભટ્ટને ભાજપ-પ્રમુખ સી.આર. પાટીલે કેસરિયો ખેસ પહેરાવીને ભાજપમાં સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ પણ ઉપસ્થિત હતા , જેમણે હાર્દિક પટેલને ભગવી ટોપી પહેરાવી હતી.
હાર્દિક પટેલે ભાજપમાં જોડાયા બાદ જણાવ્યું હતું કે, આંદોલન દરમિયાન અનેક ચઢાવ ઉતાર જોયાં, 2015માં એક આંદોલનની શરૂઆત થઈ હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદી દ્વારા 10 ટકા EBC આપવામાં આવ્યું. હું કોંગ્રેસમાં જનહિતની ભાવના સાથે જોડાયો હતો. દરેકની માણસની આંકાંક્ષા હોય કે તે દેશના હિત માટે કામ કરે. મેં કોંગ્રેસથી દુઃખી થઈને તમામ પદ પરથી રાજીનામું આપ્યું છે. હું પક્ષનો સામાન્ય કાર્યકર બનીને કામ કરીશ. કેન્દ્રની ભાજપ સરકારે કલમ 370 હટાવી ત્યારે મેં સમર્થન કર્યું હતું. જ્યારે મેં રાજીનામું લખ્યું ત્યારે લોકો કહેતા હતાં કે કમલમથી લખાયું છે. આ સમયે કોંગ્રેસના પૂર્વ પ્રમુખે રામ મંદિર વિશે વિવાદિત નિવેદન કર્યું હતું. આનંદી બેન જ્યારે ભાજપમાં માંડલથી ચૂંટણી લડતા હતા ત્યારે મારા પિતા તેમની સાથે હતા. રાષ્ટ્રના હિતની વાત હોય ત્યારે રાજા નહીં સૈનિકની ભૂમિકામાં છું. હું ઘરવાપસી નથી કરતો અમે ઘરમાં જ હતા.