રાંધી, 10 ઓગસ્ટ 2026: દિલ્હીના જંતરમંતર ખાતે નીટ પરીક્ષાના મુદ્દે દેખાવો કરનારા વિદ્યાર્થીઓ ઉપર લાઠીચાર્જ અને પોલીસે કરેલા બળપ્રયોગને હજુ દેશવાસીઓ ભુલ્યાં નથી, ત્યાં ઝારખંડમાં જેપીએસસી પરિક્ષા મામલે દેખાયો કરી રહેવા વિદ્યાર્થીઓ ઉપર પોલીસ દ્વારા બળપ્રયોગ કરવામાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ ફેલાયો છે. તેમજ પોલીસના બળપ્રયોગને લઈને રાજકારણ ગરમાયું છે.
ઝારખંડની રાજધાની રાંચીમાં JPSC (ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશન) અને JSSC (ઝારખંડ સ્ટાફ સિલેક્શન કમિશન) ની પરીક્ષાઓમાં કથિત અનિયમિતતાઓ અને ગેરરીતિઓ સામે રોષે ભરાયેલા વિદ્યાર્થીઓનું આંદોલન હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. સોમવારે હજારોની સંખ્યામાં પરીક્ષાર્થીઓ અને વિદ્યાર્થીઓએ પોતાની માંગણીઓના સમર્થનમાં ‘વિધાનસભા ઘેરાવ’ માર્ચ કાઢ્યું હતું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ હજારો વિદ્યાર્થીઓ હાથમાં બેનરો અને પોસ્ટરો લઈને વિધાનસભા તરફ આગળ વધી રહ્યા હતા. પ્રદર્શનકારીઓએ સુરક્ષા માટે ખડકવામાં આવેલી પોલીસની બેરિકેડિંગને ઓળંગીને આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ સર્જાતાં સ્થિતિ વધુ તંગ બની હતી. પરિસ્થિતિ બેકાબૂ બનતી જોઈને સુરક્ષાદળો અને પોલીસે ભીડને વિખેરવા માટે વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો.
આ દરમિયાન એક અનોખો અને ચર્ચાસ્પદ બનાવ પણ સામે આવ્યો હતો, જ્યાં એક ઉત્સાહી પ્રદર્શનકારી વિદ્યાર્થી પોલીસની બેરિકેડિંગ પર ચઢીને ડાન્સ કરવા લાગ્યો હતો. આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. જો કે, ભીડ વધુ ઉગ્ર બનતા પોલીસે સ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે આખરે લાઠીચાર્જ કરવો પડ્યો હતો, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી અને કેટલાક વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા.
-
ઘાયલ વિદ્યાર્થીઓ અને નેતૃત્વ પર પ્રહારો
પોલીસના લાઠીચાર્જમાં ગંભીર રીતે ઘાયલ થયેલા વિક્રમ કુમાર નામના પ્રદર્શનકારી વિદ્યાર્થીએ રાજ્ય સરકાર અને પ્રશાસન સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “હેમંત સોરેન જી, તમારે આવું ન કરવું જોઈએ. અમે બિલકુલ શાંતિપૂર્ણ માર્ગે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. અમારી તરફથી કોઈ પણ પ્રકારની ઉશ્કેરણીજનક ભાષા કે ગાળાગાળી કરવામાં આવી ન હતી. છતાં અચાનક પોલીસે અમારા પર લાઠીચાર્જ શરૂ કરી દીધો, જે બિલકુલ યોગ્ય નથી.”
આ ઉપરાંત અન્ય એક પ્રદર્શનકારી વિદ્યાર્થીએ પોલીસની કાર્યવાહીની આકરી ટીકા કરતા આક્ષેપ કર્યો હતો કે, “બેરિકેડિંગ પાસે શાંતિથી પ્રદર્શન કરી રહેલા છાત્રો પર પોલીસે અત્યંત બર્બરતાપૂર્ણ રીતે લાઠીઓ વરસાવી છે. નિયમ મુજબ લાઠીનો ઉપયોગ હંમેશાં શરીરના નીચલા ભાગ એટલે કે કમરની નીચે કરવો જોઈએ, પરંતુ પોલીસે વિદ્યાર્થીઓના માથા, હાથ, ચહેરા અને શરીરના સંવેદનશીલ અંગો પર આડેધડ લાઠીઓ ચલાવી છે. આ ઘટના વર્તમાન સરકારના બેવડા વલણ અને નીતિઓને સ્પષ્ટપણે ઉજાગર કરે છે.”
-
પ્રશાસન અને સરકારની મુશ્કેલીઓ વધી
યુવા વર્ગમાં પ્રવર્તતી આ બેરોજગારી અને પરીક્ષા કૌભાંડો સામેની નારાજગી હવે મોટા રાજકીય અને સામાજિક આંદોલનનું સ્વરૂપ લઈ રહી છે. ઘટનાસ્થળે વધારાના પોલીસ બળની તૈનાતી કરવામાં આવી છે અને સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓની મુખ્ય માંગ પરીક્ષાઓમાં પારદર્શિતા લાવવા અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની છે.

