Site icon Revoi.in

પ્રેસિડેન્ટ પુટિન દિલ્હીમાં રૂ. 170 કરોડના ભવ્ય આવાસમાં મહેમાનગતિ માણશે

મહેમાનગતિ
Social Share

નવી દિલ્હી, 4 ડિસેમ્બર, 2025 President Putin in Delhi વિદેશી રાષ્ટ્રાધ્યક્ષો ભારતની મુલાકાતે આવે ત્યારે ક્યાં રહેતા હશે એવો પ્રશ્ન અનેકને થતો હશે. વડાપ્રધાન સહિત ભારતીય નેતાગીરી સાથેની મુલાકાતો કે પત્રકાર પરિષદનાં સ્થળ તો જાહેર થતાં હોય છે, પરંતુ આ વિદેશી નેતાઓ રોકાણ ક્યાં કરતા હશે તેની ખાસ કોઈ જાહેરાત કરવામાં આવતી નથી. છતાં મોટાભાગના રાષ્ટ્રાધ્યક્ષોના રોકાણ માટે ભારત સરકાર દ્વારા કરવામાં હૈદરાબાદ હાઉસમાં આવેલી વ્યવસ્થા નક્કી જ હોય છે, સિવાય કે કોઈ રાષ્ટ્રાધ્યક્ષ ફાઈવ સ્ટાર હોટેલમાં રહેવા માગતા હોય તો ત્યાં વ્યવસ્થા કરવામાં આવે. રશિયન પ્રમુખ વ્યાદિમીર પુટિન પણ આજે આ જ સ્થળે મહેમાનગતિ માણશે.

વિદેશી નેતાઓના રોકાણ માટેના આ નિર્ધારિત સ્થળ હૈદરાબાદ હાઉસમાં એવું તો શું છે કે રાષ્ટ્રાધ્યક્ષો ત્યાં રોકાણ પણ કરી શકે અને વડાપ્રધાન સહિત ભારતીય નેતાઓ સાથેની મીટિંગ પણ થઈ શકે? વાસ્તવમાં સ્વતંત્રતા પહેલાં વડોદરાના રાજા ગાયકવાડ સહિત દેશના કેટલાક રાજવીઓએ દિલ્હીમાં જમીન રાખીને ત્યાં પોતાના ભવ્ય આવાસ બનાવ્યા હતા જેથી અંગ્રેજ સરકારને મળવા માટે દિલ્હી આવવાનું થાય ત્યારે તેઓ પોતાના એ મહેલ જેવા આવાસમાં રહી શકે. એ જ ક્રમમાં હૈદરાબાદ હાઉસ એ નિઝામે બનાવડાવેલું આવાસ છે. જોકે, અન્ય રાજાઓએ બનાવેલા આવાસો કરતાં હૈદરાબાદ હાઉસ ભૌગોલિક રીતે અને તેની વિશાળતાને લીધે સરકારી ઉપયોગ માટે સાનુકૂળ જગ્યા છે.

Hyderabad house હૈદરાબાદ હાઉસમાં 36 રૂમ છે. તેની ચારે તરફ વિશાળ આંગણા, કમાનો, ભવ્ય સીડી, ફાયરપ્લેસ, ફુવારા છે. આ બધું યુરોપિયન શૈલીમાં છે કેમ કે કેટલાક રાજાઓના આવાસની ડિઝાઈન લુટિયન્સ નામના અંગ્રેજ આર્કિટેક્ટે તૈયાર કરી હતી. હાલ જે રાષ્ટ્રપતિ ભવન છે તે સહિત દિલ્હીના કેટલાક ભવ્ય આવાસોની ડિઝાઈન લુટિયન્સે કરી હતી.

હૈદરાબાદ હાઉસનું બાંધકામ 1921 થી 1931ની વચ્ચે થયું હતું. તે સમયે ફક્ત વાઇસરોય હાઉસ (હવે રાષ્ટ્રપતિ ભવન) જ માત્ર સૌથી વિશાળ અને ભવ્ય હતું. કહેવાય છે કે, તે સમયે અર્થાત 1930ના દાયકામાં આ હૈદરાબાદ હાઉસના નિર્માણ પાછળ 2,00,000 પાઉન્ડનો ખર્ચ થયો હતો. એ અરસામાં નિઝામ સૌથી ધનિક વ્યક્તિ ગણાતો હતો. સ્વતંત્રતા પછી અને હૈદરાબાદને ભારતમાં ભેળવવામાં આવ્યું ત્યારપછી પણ લગભગ બે દાયકા સુધી આ સ્થળ નિઝામના પરિવાર પાસે હતું, પરંતુ ત્યારપછી ભારત સરકારે હસ્તગત કરી લધું હતું.

1970 ના દાયકાની શરૂઆતમાં ભારતની રાજદ્વારી જરૂરિયાતોમાં વધારો થતો ગયો તેને પગલે આવી તમામ મિલકતો સંપૂર્ણપણે કેન્દ્રના નિયંત્રણ હેઠળ લઈ લેવામાં આવી હતી. 1974માં વિદેશ મંત્રાલયે તેના અધિકારક્ષેત્રનો કબજો લીધો અને તેને સરકારી મુલાકાતો અને ભોજન સમારંભો માટે ઉપયોગ શરૂ કર્યો. હાલ હૈદરાબાદ હાઉસ સહિત આવાં તમામ સ્થળોનું સમગ્ર સંચાલન ઇન્ડિયા ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન (ITDC) દ્વારા થાય છે જે આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર કેટરિંગ, જાળવણી અને કાર્યક્રમોનું સંચાલન કરે છે.

હૈદરાબાદ હાઉસનો ઉપયોગ ત્યારથી વડાપ્રધાનના સત્તાવાર અતિથિ ગૃહ તરીકે થાય છે જ્યાં અત્યાર સુધીમાં તત્કાલીન અમેરિકી પ્રમુખ બિલ ક્લિન્ટન અને જ્યોર્જ ડબલ્યુ બુશથી લઈને ગોર્ડન બ્રાઉન અને વ્લાદિમીર પુતિન સુધીના વૈશ્વિક નેતાઓ રહી ચૂક્યા છે. અહીં વડા પ્રધાન, ઉપરાષ્ટ્રપતિ અને વિદેશ અધિકારીઓ વતી આયોજિત હાઈ-પ્રોફાઇલ ભોજન સમારંભો, સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ અને બેઠકોનું આયોજન થાય છે.

આજે ભારત ફરીથી રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનનું સ્વાગત કરી રહ્યું છે ત્યારે હૈદરાબાદ હાઉસ તેમના બે દિવસીય પ્રવાસ કાર્યક્રમમાં કેન્દ્ર સ્થાને રહેશે.

મમતા બેનરજીએ બંગાળમાં બાબરી મસ્જિદ બાંધવા માગતા ધારાસભ્યને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા

Exit mobile version