Site icon Revoi.in

સૌરાષ્ટ્ર તમિલ સંગમઃ મૂળ સૌરાષ્ટ્રના તમિલ લોકોનું વેરાવળમાં ભવ્ય સ્વાગત, ‘ભારત માતા કી જય’ અને ‘જય સોમનાથ’ના જય ઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું

Social Share

અમદાવાદઃ સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ  માટે ખાસ મદુરાઈથી સ્પેશિયલ ટ્રેનમાં સૌરાષ્ટ્રીયન તમિલ લોકો સવારે વેરાવળ રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચતા તમિલ બાંધવો- ભગીનીઓનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા સહિતના મહાનુભાવો દ્વારા ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તમિલ સંગમ કાર્યક્રમના ઉપક્રમે વર્ષો બાદ મૂળ વતનની મુલાકાતે આવેલા બંધુઓને  આવકારવા માટે સૌરાષ્ટ્રના દરેક સમુદાયના લોકો તેમજ મૂળ તમિલનાડુના અને હાલ વેરાવળમાં સ્થાયી થયેલા તમિલ સમુદાય પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વિસ્તાર ‘ભારત માતા કી જય’ અને ‘જય સોમનાથ’ના જય ઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

મદુરાઈથી સ્પેશિયલ ટ્રેનમાં વેરાવળ આવેલા 300થી વધુ મૂળ સૌરાષ્ટ્રના તમિલિયન લોકોનું ઢોલ નગારાના તાલે કુમકુમ તિલક કરી  કાઠીયાવાડી પરંપરા મુજબ પુષ્પગુચ્છ આપી, હાર પહેરાવી મંત્રી સહીતના મહાનુભાવો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આવકારથી આનંદીત થયેલા મહેમાનો પણ રંગબેરંગી છત્રીઓ સાથે ઢોલ અને શરણાઈઓના તાલે ઝૂમી ઉઠ્યા હતા.

તમિલનાડુથી આવેલ સર્વેને લાલ જાજમ પર સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના 40 વિદ્યાર્થીઓ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે આવકારવામાં આવ્યા હતા.  આ સમયે ‘ભારત માતા કી જય’ અને ‘જય સોમનાથ’ના જય ઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

ભવ્ય સ્વાગત કરાતા પ્રવાસીઓએ હર્ષની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અમને વતનમાં આવીને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. રસ્તામાં અમારું ઠેર-ઠેર લાગણીપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું છે. તમિલનાડુથી ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓ પણ ગુજરાતમાં પ્રથમવાર આવતા તેઓ આ પ્રવાસથી ખુશખુશાલ જણાતા હતા. તેઓની સાથે આવેલ કન્વીનર એ.આર મહાલક્ષ્મીએ આ તકે પ્રસન્નતા સાથે જણાવ્યું હતું કે, અમે અમારા વતન સાથે પુનઃ જોડાવા જઈ રહ્યા છીએ જેની અમને ખૂબ જ ખુશી છે.