Site icon Revoi.in

કરચોરી કરનારા મોબાઈલ એસેસરિઝના વેપારીઓ પર SGSTની તવાઈઃ રાજકોટ, મોરબીમાં 200 મોબાઈલ જપ્ત કરાયા

Social Share

અમદાવાદઃ રાજ્યમાં ઘણા વેપારીઓ કર ચોરી કરતા હોવાની માહિતીને પગલે સ્ટેટ જીએસટીના અધિકારીઓએ ભાવનગર રાજકોટ સહિત ઘણા શહેરોમાં સર્ચ હાથ ઘર્યું હતું. જેમાં રાજકોટ, મોરબી, જામનગરમાં મોબાઈલના વેપારીઓને ત્યાં સીજીએસટીની ટીમે શરૂ કરેલી તપાસ સતત બીજા દિવસે પણ ચાલુ રહી હતી. જેમાં તપાસ દરમિયાન 200 મોબાઈલ અને એસેસરિઝ કબજે કરવામાં આવ્યા છે.જેની અંદાજિત કિંમત રૂ. 2 કરોડ થાય છે. આ તપાસ હજુ લાંબી ચાલે અને ટેક્સચોરીનો આંકડો વધે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વિદેશથી મગાવેલા મોબાઈલ પર વેપારીઓને ટેક્સ ન ભરવો પડે તે માટે વેપારીઓ તેને બિલ વગર વેચી નાખતા હતા.

રાજ્યના સ્ટેટ જીએસટીના સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ, મોરબી અને જામનગરમાં દરોડામાં 13 ટીમ તપાસમાં રોકાઈ હતી. છેલ્લા કેટલાક સમયથી મોબાઈલના વેપારીઓ ટેક્સચોરી કરતા હોવાનું ધ્યાને આવ્યું હતું અને આ દરોડા પાડવામાં આવ્યા હતા. સીજીએસટીની તપાસમાં પ્રાથમિક રીતે એવું માલૂમ પડ્યું છે કે, મોબાઈલના વેપારીઓ પોતાના કર્મચારીને વિદેશમાં મોકલીને તેની પાસેથી મોંઘાદાટ મોબાઈલ મગાવતા હતા અને ત્યારબાદ સસ્તી કિંમતે તે વેચી નાખતા હતા તેવું જાણવા મળ્યું હતું.

જોકે આ અંગે સ્ટેટ જીએસટીના અધિકારીએ કંઈપણ કેહવાનો આનકાર કર્યો હતો. અત્યાર સુધીમાં પ્રથમ વખત સીજીએસટીની ટીમે મોબાઈલના વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવતા ફફડાટ ફેલાયો હતો.જે વેપારીઓએ બિલ વગર જે ગ્રાહકને મોબાઈલ વેચ્યા છે તેની યાદી તૈયાર જીએસટી વિભાગે કરી છે અને આગામી દિવસોમાં મોબાઈલ ખરીદનારની પણ પૂછપરછ અને તપાસ કરવામાં આવશે.

અત્યાર સુધીની તપાસમાં ખુલ્યું છે બિલ વગરના મોબાઈલની વેપારીઓ, ઉદ્યોગપતિ, બિલ્ડર સહિતના લોકોએ ખરીદી કરી છે. આ તપાસમાં હજુ અનેક ચોંકાવનારી વિગતો ખૂલે તેવી સંભાવના છે. રાજકોટમાં સતત બીજા દિવસે મોબાઈલ માર્કેટ બંધ જોવા મળી હતી. તપાસ દરમિયાન ખરીદ-વેચાણના સ્ટોક, આવક જાવકના દસ્તાવેજો ઉપરાંત બિલ વગરના કેટલા મોબાઈલ પડ્યા છે, ક્યાં સંતાડવામાં આવ્યા છે તે સહિતના મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે.

(PHOTO-FILE)