Site icon Revoi.in

સ્પાઈસ જેટની ફ્લાઈટનું પાકિસ્તાનમાં ઈમરજન્સી લેન્ડિંગ,દિલ્હીથી દુબઈ જઈ રહ્યું હતું વિમાન

Social Share

દિલ્હી:સ્પાઈસ જેટની દિલ્હીથી દુબઈ જતી SG-11 ફ્લાઈટનું ટેકનિકલ ખામી બાદ પાકિસ્તાનના કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે.આ ઘટના અંગે માહિતી આપતા સ્પાઈસજેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે,ઈન્ડીકેટર લાઈટમાં ટેક્નિકલ ખામીના કારણે સ્પાઈસજેટ બી737 એરક્રાફ્ટને કરાચી તરફ વાળવામાં આવ્યું હતું. પ્લેન કરાચીમાં સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું અને મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા.પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે લેન્ડિંગ દરમિયાન કોઈ ઈમરજન્સી જાહેર કરવામાં આવી ન હતી અને વિમાનનું સામાન્ય લેન્ડિંગ થયું હતું. મુસાફરોને આરામદાયક બનાવવા માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે.બીજું વિમાન કરાચી મોકલવામાં આવી રહ્યું છે જે મુસાફરોને દુબઈ લઈ જશે. પ્રવક્તાએ જણાવ્યું કે વિમાનમાં કુલ 150 મુસાફરો સવાર હતા.

છેલ્લા 17 દિવસમાં સ્પાઈસ જેટના વિમાનમાં આ છઠ્ઠી ઘટના છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) તમામ છ ઘટનાઓની તપાસ કરી રહી છે.અધિકારીઓએ જણાવ્યું હતું કે,દિલ્હી-દુબઈ બોઈંગ 737 MAX પ્લેન જ્યારે હવામાં હતું ત્યારે તેની ડાબી ટાંકીમાંથી બળતણની માત્રામાં અસામાન્ય ઘટાડો દર્શાવવાનું શરૂ કર્યું હતું.તેથી, વિમાનને કરાચી તરફ વાળવામાં આવ્યું હતું.અધિકારીઓએ જણાવ્યું કે જ્યારે કરાચી એરપોર્ટ પર તપાસ કરવામાં આવી ત્યારે ડાબી ટાંકીમાંથી લીક જોવા મળ્યું ન હતું.

સ્પાઈસજેટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “5 જુલાઈ, 2022ના રોજ, સ્પાઈસજેટ B737 એરક્રાફ્ટ ઓપરેટિંગ ફ્લાઈટ SG-11 (દિલ્હી-દુબઈ)ને ખામીયુક્ત સૂચક લાઇટને કારણે કરાચી તરફ વાળવામાં આવી હતી. પ્લેન કરાચીમાં સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું અને મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા.