દાહોદ, 27 જૂન, 2026 – આદિવાસી વિસ્તારના ખેડૂતો માટે તાજેતરમાં દાહોદ ખાતે તાલીમ કાર્યક્રમનું આયોજન થયું હતું. એઆઈએનપી ઓન વીપીએમ: એગ્રીકલ્ચરલ ઑર્નીથોલોજી (ટ્રાયબલ સબ પ્લાન-TSP) અને કૃષિ સંશોધન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, મુવાલિયા ફાર્મ, દાહોદના સંયુક્ત ઉપક્રમે તારીખ ૨૫/૦૬/૨૦૨૬ના રોજ આદિવાસી વિસ્તારના ખેડૂતો માટે દાહોદ ખાતે એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજવામાં આવી હતી.
આ તાલીમ કાર્યક્રમમાં દાહોદ જીલ્લાના લીલર ગામના કુલ ૭૩ જેટલા ખેડૂતભાઈઓએ ભાગ લીધો હતો.
આ પ્રસંગે કૃષિ સંશોધન કેન્દ્ર, આ.કૃ.યુ, મુવાલિયા ફાર્મ, દાહોદના યુનિટ વડા અને સહ સંશોધન વિજ્ઞાની શ્રી ડૉ. એચ. કે. પરમાર દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીઓ તથા ખેડૂતમિત્રોને કેન્દ્ર ખાતે કાર્યરત યોજનાઓ વિશે, એગ્રીકલ્ચરલ ઑર્નીથોલોજી વિભાગના હેડ ડૉ. આર. આર. વાઘુંડેએ ટ્રાયબલ સબ પ્લાન યોજનાની ખેડૂત ઉપયોગી પ્રવૃત્તિઓ તથા ભલામણો વિશે, ડૉ. એફ. જી. સૈયદ, આચાર્ય અને યુનિટ વડા, કૃષિ ઈજનેરી પોલિટેક્નીક, દાહોદ દ્વારા કૃષિ ઈજનેરી કોલેજમાં ચાલતા અભ્યાસક્રમો વિશે ઉપયોગી માહિતી આપી હતી.
આ ઉપરાંત ડૉ. નિર્મલ ચૌહાણ, વિજ્ઞાની (પાક સંરક્ષણ), કે.વી.કે, દાહોદએ વિવિધ વિસ્તરણની પ્રવૃત્તિ વિશે, ડૉ. જલ્પાબેન જી. દંડ, મદદનીશ સંશોધન વિજ્ઞાની, એગ્રીકલ્ચરલ ઑર્નીથોલોજી દ્વારા કૃષિ પાકોમાં ભૂંડ, નીલગાય અને ઉંદર પ્રજાતિના જાનવરો દ્વારા થતાં નુકસાન અને વ્યવસ્થાપન વિશે, કૃષિમાં પક્ષીઓનું મહત્ત્વ અને જીવાત વ્યવસ્થાપન તેમજ મદદરૂપ પક્ષીઓના સંરક્ષણ માટેના ઉપાયો વિશે, ડૉ. એમ. એમ. પંડ્યા, મદદનીશ સંશોધન વિજ્ઞાની, કૃષિ સંશોધન કેન્દ્ર, આ.કૃ.યુ, મુવાલિયા ફાર્મ, દાહોદ દ્વારા કેન્દ્ર ખાતેથી બહાર પાડવામાં આવેલી કોદરાની જાતોની લાક્ષણિકતાઓ વિશે અને શ્રી કે. એલ. પારગી, ખેતી અધિકારીએ પ્રાકૃતિક કૃષિના વિવિધ આયામો વિશે ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા. તાલીમના અંતે, શ્રીમતી એસ. બી. પારગીએ સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો.

