Site icon Revoi.in

ત્રિપુરાના ડીજીપી અનુરાગ ધનખડે આત્મહત્યા કરતા પોલીસ બેડામાં ખળભળાટ

Social Share

અગરતલા, 20 જુલાઈ 2026: ત્રિપુરાના પોલીસ મહાનિર્દેશક અનુરાગ ધનખડે સોમવારે અગરતલા સ્થિત પોલીસ હેડક્વાર્ટર ખાતેની પોતાની ઓફિસમાં આત્મહત્યા કરી લેતાં સમગ્ર દેશના પોલીસ બેડામાં ભારે સસપોન્સ અને શોકની કાલિમા છવાઈ ગઈ છે. 1994 કેડરના આઈપીએસ અધિકારી ધનખડ દ્વારા ભરેલા આ પગલાં બાદ તેમને તાત્કાલિક ગોવિંદ વલ્લભ પંત (GB પંત) હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ ગોઝારી ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતાં ત્રિપુરાના મુખ્યમંત્રી ડૉ. માણિક સાહા, મુખ્ય સચિવ જે.કે. સિંહા તેમજ શાસન અને પોલીસ પ્રશાસનના અનેક વરિષ્ઠ અધિકારીઓ તાબડતોબ જીબી પંત હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. ઘટના અંગે ઊંડો શોક વ્યક્ત કરવાની સાથે જ પોલીસે આત્મહત્યા પાછળના કારણો જાણવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આઈપીએસ અનુરાગ ધનખડ ત્રિપુરાના પોલીસ વડા બન્યા તે પહેલાં તેમણે રાજ્યમાં ડીજીપી (ઇન્ટેલિજન્સ) તરીકે મહત્વની સેવાઓ આપી હતી. 30 વર્ષથી વધુ લાંબી તેમની ગૌરવપૂર્ણ કારકિર્દી દરમિયાન તેમણે રાજ્ય પોલીસમાં અનેક મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળ્યા હતા. આ ઉપરાંત, તેમણે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન અને બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં પણ કેન્દ્રીય ડેપ્યુટેશન પર પોતાની સેવાઓ આપી હતી. તેઓ કોસોવોમાં સંયુક્ત રાષ્ટ્ર મિશનનો પણ ભાગ રહ્યા હતા, જ્યાં તેમને આંતરરાષ્ટ્રીય પોલીસિંગનો બહોળો અનુભવ પ્રાપ્ત થયો હતો.

Exit mobile version