Site icon Revoi.in

જ્યારે ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને યુવાનો સશક્ત થશે, ત્યારે દેશ શક્તિશાળી બનશે: PM મોદી

Social Share

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક સ્તરના પ્રતિનિધિઓ સહિત દેશભરના હજારો વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ જોડાયા હતા. અહીં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા વડાપ્રધાનએ નોંધ્યું હતું કે, વીબીએસવાયએ તાજેતરમાં 50 દિવસ પૂર્ણ કર્યા છે અને આશરે 11 કરોડ લોકો સાથે જોડાણ કર્યું છે. તેમણે કહ્યું હતું કે, “વિકસિત ભારત સંકલ્પ યાત્રા માત્ર સરકારની જ નહીં, પણ દેશની યાત્રા પણ બની ગઈ છે.” વડાપ્રધાનએ કહ્યું હતું કે, “મોદી કી ગેરંટી કી ગાડી દેશનાં ખૂણે-ખૂણે પહોંચી રહી છે. સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે જે ગરીબોએ પોતાનું જીવન વિતાવ્યું હતું, તેમાં આજે સાર્થક પરિવર્તન જોવા મળી રહ્યું છે. સરકાર લાભાર્થીઓના દરવાજે પહોંચી રહી છે અને સક્રિયપણે લાભ આપી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, “મોદી કી ગેરંટી કી ગાડીની સાથે સરકારી કચેરીઓ અને જનપ્રતિનિધિઓ પણ લોકો સુધી પહોંચી રહ્યાં છે.”

‘મોદી કી ગેરંટી’ વિશેની વૈશ્વિક ચર્ચાનો ઉલ્લેખ કરીને વડાપ્રધાનએ ગેરંટીની રૂપરેખા અને લાભાર્થી સુધી મિશન મોડમાં પહોંચવાના તર્ક પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું તથા વિકસિત ભારતના ઠરાવ અને યોજનાના કવરેજની સંતૃપ્તિ વચ્ચેની કડી પર પણ ભાર મૂક્યો હતો. પીએમ મોદીએ અનેક પેઢીઓથી ગરીબો, યુવાનો, મહિલાઓ અને ખેડૂતોના સંઘર્ષને ઉજાગર કર્યો હતો. વડાપ્રધાનએ સમજાવ્યું હતું કે, “અમારી સરકાર ઇચ્છે છે કે વર્તમાન અને ભવિષ્યની પેઢીઓ અગાઉની પેઢી જે જીવન જીવતી હતી તેવું જીવન ન જીવવું પડે. અમે દેશની મોટી વસતિને નાની નાની દૈનિક જરૂરિયાતો માટેના સંઘર્ષમાંથી બહાર કાઢવા માંગીએ છીએ. એટલે અમે ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને યુવાનોના ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. અમારા માટે આ દેશની ચાર સૌથી મોટી જાતિઓ છે. જ્યારે ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને યુવાનો સશક્ત થશે, ત્યારે દેશ શક્તિશાળી બનશે.”

વડાપ્રધાનએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વીબીએસવાયનો મુખ્ય લક્ષ્યાંક સરકારી યોજનાઓનાં લાભમાંથી કોઈપણ લાયક લાભાર્થીને છોડવાનો નથી. તેમણે માહિતી આપી હતી કે, જ્યારથી યાત્રા શરૂ થઈ છે, ત્યારથી ઉજ્જવલા કનેક્શન માટે 12 લાખ નવી અરજીઓ મળી છે, જેમાં સુરક્ષા વીમા યોજના, જીવન જ્યોતિ યોજના, પ્રધાનમંત્રી સ્વનિધિ માટે લાખો અરજીઓ આવી છે.

વીબીએસવાયની અસર પર પ્રકાશ પાડતા વડાપ્રધાનએ માહિતી આપી હતી કે, અત્યાર સુધીમાં 2 કરોડથી વધારે લોકો માટે આરોગ્ય તપાસણી કરવામાં આવી છે, જેમાં 1 કરોડ ટીબીનું ચેકઅપ અને 22 લાખ સિકલ સેલ ચેકઅપ સામેલ છે. આજે વડાપ્રધાનએ કહ્યું હતું કે, અગાઉની સરકારોએ જેમને પડકારરૂપ માનતા હતા તેવા ગરીબો, દલિતો, વંચિતો અને આદિવાસીઓનાં દરવાજે ડૉક્ટરો પહોંચી રહ્યાં છે. તેમણે રૂ. 5 લાખનાં મૂલ્યનો સ્વાસ્થ્ય વીમો, ગરીબો માટે નિઃશુલ્ક ડાયાલિસિસ અને જન ઔષધિ કેન્દ્રોમાં ઓછી કિંમતની દવાઓ પ્રદાન કરતી આયુષ્માન યોજના વિશે પણ વાત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, “સમગ્ર દેશમાં નિર્મિત આયુષ્માન આરોગ્ય મંદિરો ગામડાંઓ અને ગરીબો માટે મોટા પાયે સ્વાસ્થ્ય કેન્દ્રો બની ગયા છે.”

વડાપ્રધાન મોદીએ દેશમાં મહિલા સશક્તિકરણ પર સરકારની અસર વિશે પણ પ્રકાશ પાડ્યો હતો અને મુદ્રા યોજના મારફતે લોનની ઉપલબ્ધતા, બેંક મિત્ર, પશુ સખીસ અને આશા કાર્યકર્તાઓની ભૂમિકા ભજવતી મહિલાઓનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ માહિતી આપી હતી કે, છેલ્લાં 10 વર્ષમાં 10 કરોડ મહિલાઓ મહિલા સ્વસહાય જૂથોમાં સામેલ થઈ છે, જ્યાં તેમને રૂ. 7.5 લાખ કરોડથી વધારે પ્રદાન કરવામાં આવ્યાં છે. વડાપ્રધાનએ કહ્યું હતું કે, આને કારણે વર્ષોથી ઘણી બહેનો લખપતિ દીદી બની છે. પોતાની સફળતાનો ઉલ્લેખ કરીને વડાપ્રધાનએ લખપતિ દીદીઓની સંખ્યામાં 2 કરોડનો વધારો કરવા માટે સરકારનાં અભિયાન વિશે જાણકારી આપી હતી. આ નમો ડ્રોન દીદી યોજના છે, જેમાં વીબીએસવાય દરમિયાન આશરે 1 લાખ ડ્રોનનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, દેશનાં ઇતિહાસમાં પ્રથમ વખત મિશન મોડ પર જનતાને નવી ટેકનોલોજી સાથે જોડવામાં આવી રહી છે. “હાલમાં, કૃષિ ક્ષેત્રમાં જ ડ્રોનના ઉપયોગ માટે તાલીમ આપવામાં આવી રહી છે. પરંતુ આગામી દિવસોમાં, તેનો વિસ્તાર અન્ય ક્ષેત્રોમાં વિસ્તૃત થવાનો છે, “એમ પીએમ મોદીએ ઉમેર્યું હતું.

વડાપ્રધાનએ ધ્યાન દોર્યું હતું કે, અગાઉની સરકારોમાં દેશમાં કૃષિ નીતિને લગતી ચર્ચાઓનો અવકાશ માત્ર ઉત્પાદન અને વેચાણ પૂરતો મર્યાદિત હતો, જે ખેડૂતોની રોજબરોજની વિવિધ સમસ્યાઓની અવગણના કરે છે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, “અમારી સરકારે ખેડૂતોની દરેક મુશ્કેલી હળવી કરવા તમામ પ્રયાસો કર્યા છે.” તેમણે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ મારફતે દરેક ખેડૂતને ઓછામાં ઓછા રૂ. 30,000નાં હસ્તાંતરણ, પીએસીએસ, એફપીઓ જેવી સંસ્થાઓ સાથે કૃષિમાં સહકારને પ્રોત્સાહન, સ્ટોરેજ સુવિધાઓમાં વધારો અને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, તુવેર અથવા અરહર દાળનાં ખેડૂતો હવે એમએસપી પર ખરીદી અને બજારમાં સારી કિંમતે ખરીદી સુનિશ્ચિત કરવા માટે તેમનાં ઉત્પાદનો સીધાં સરકારને ઓનલાઇન વેચી શકે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ યોજનાનો વ્યાપ અન્ય કઠોળ સુધી પણ વિસ્તૃત કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, “અમારો પ્રયાસ એ છે કે અમે કઠોળ ખરીદવા માટે વિદેશમાં જે નાણાં મોકલીએ છીએ તે દેશના ખેડૂતોને ઉપલબ્ધ થાય.”

સંબોધનના સમાપનમાં વડાપ્રધાનએ સ્થાનિક વહીવટીતંત્ર સહિત વીબીએસવાય શો ચલાવતી ટીમના પ્રયાસોની પ્રશંસા કરી હતી, જેઓ સંપૂર્ણ સમર્પણ સાથે તેમના કામમાં રોકાયેલા છે. પીએમ મોદીએ અંતમાં કહ્યું કે, “આ ભાવનામાં, આપણે ભારતને વિકસિત દેશ બનાવવા માટે આપણી ફરજો નિભાવવી જોઈએ.”