કાલોલ, 11 ફેબ્રુઆરી, 2026 – Prime Minister Narendra Modi ગુજરાત ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના પંચમહાલ જિલ્લાના પ્રવાસ દરમિયાન આજે એક ભાવવાહી દૃશ્ય સર્જાયું હતું. માંડ દસ વર્ષની એક દીકરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે એક ગીતની રજૂઆત કરી હતી. (જુઓ વીડિયો) આ સાંભળી ત્યાં ઉપસ્થિત જગદીશભાઈ વિશ્વકર્મા સહિત સૌ કોઈ ભાવવિભોર થઈ ગયા હતા.
દરમિયાન, ભાજપા પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ પ્રથમ વખત પંચમહાલ જિલ્લાના પ્રવાસે પધારેલા જગદીશભાઈ વિશ્વકર્માએ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના પ્રાચીન અને પવિત્ર મંદિરમાં દર્શન અને પૂજા- અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.
કાર્યકર્તા સર્વોપરીની વિચારધારાના પ્રખર સમર્થક જગદીશભાઈએ પાવાગઢના બુથ પ્રમુખ રવિભાઈ ચારણના નિવાસે જઈ સવારનો ચા-નાસ્તો કર્યો હતો તેમજ મલાવ-૩ ના બુથ પ્રમુખ જીગરભાઇ પટેલના નિંવાસસ્થાને બપોરનું ભોજન લીધું હતું.
પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને કાલોલ સ્થિત કૃપાલુ આશ્રમ ખાતે વિશાળ કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ બુથ પ્રમુખને પણ તેઓની સાથે મંચ પર સ્થાન આપ્યું હતું.
કાર્યકર્તાઓના વિશાળ સમૂહને સંબોધિત કરતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, 450 વર્ષ પછી પાવાગઢમાં મહાકાળી માતાજીના મંદિરે ધજા ચઢાવવાનો ગૌરવપૂર્ણ પ્રસંગ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં સાકાર થયો છે. ગુજરાત સહિત દેશભરના પવિત્ર યાત્રાધામોના સર્વાંગી વિકાસ માટે ભાજપા સરકાર સતત પ્રતિબદ્ધ છે.
જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, “મારા માટે એક આંખ એટલે જિલ્લાનો પ્રમુખ અને બીજી આંખ એટલે મારા બુથનો પ્રમુખ.” ભાજપનું શક્તિસ્થાન બુથ છે અને કાર્યકર્તા જ પાર્ટીનો આધારસ્તંભ છે. કાલોલ પ્રવાસ દરમિયાન બુથ પ્રમુખ ઘરે ચા-નાસ્તો અને ભોજન કરવાનો અવસર મળવાનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે ભાજપ માટે કાર્યકર્તા પરિવાર સમાન છે. આ જ ભાજપની વિચારધારા છે.
આવનારી તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓના સંદર્ભમાં તેઓએ જણાવ્યું કે ભાજપ અવિરત સેવા કરતી પાર્ટી છે, ભાજપ ફક્ત ચૂંટણી માટે નહીં, જનસેવા માટે કાર્ય કરતી પાર્ટી છે. અટલજીના શબ્દો, “ખુદ સે બડા દલ અને દલ સે બડા દેશ” સુત્રને ભાજપના કાર્યકર્તાઓ સાર્થક કરી રહ્યા છે.
ચૂંટણી આવે ત્યારે જ બહાર આવતી કોંગ્રેસને ગુજરાતની જનતાએ ઓળખી લીધી છે. કોંગ્રેસે વર્ષો સુધી વોટબેંકની રાજનીતિ કરી અને વિકાસના નામે શૂન્ય આપ્યું. કોંગ્રેસે માત્ર જનતાને છેતરવાનું અને ભરમાવવાનું કામ કર્યું છે. સમગ્ર પંચમહાલ જિલ્લામાં સમાવિષ્ટ 1400 બુથમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની 450થી વધુ યોજનાઓનો લાભ પ્રત્યેક ઘર સુધી પહોંચાડવા તેઓએ કાર્યકર્તાઓને આહ્વાન કર્યું હતું. કૃપાલુ સમાધી મંદિરની પવિત્ર જગ્યા પર આવી જગદીશભાઈ વિશ્વકર્માએ ધન્યતા અનુભવી હતી.
આ વિશાળ સંમેલનમાં પ્રદેશ ભાજપા મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, પ્રદેશ ઉપાધ્યક્ષ જયદ્રથસિંહ પરમાર, જિલ્લા ભાજપા અધ્યક્ષ મયંકભાઇ દેસાઇ, સાંસદ રાજપાલસિંહ જાદવ, ધારાસભ્યો સહિત સ્થાનિક ભાજપા સંગઠનના પદાધિકારીઓ, ભાજપા આગેવાનો, અગ્રણીઓ તેમજ વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

