Site icon Revoi.in

‘તમારો ભાઈ, તમારો દીકરો લોખંડનો બનેલો છે, ઘણો મજબૂત છે’ પત્ની સુનીતાએ વાંચી સંભળાવ્યો CM કેજરીવાલનો વીડિયો મેસેજ

Social Share

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાના પતિનો જેલમાંથી મોકલવામાં આવેલો સંદેશ વાંચ્યો હતો. તેમણે કેજરીવાલનો સંદેશ વાંચતા કહ્યું હતું કે મારા પ્યારા દેશવાસીઓ, મારી ધરપકડ કરી લેવામાં આવી. હું અંદર રહું અથવા બહાર દરેક પળ દેશની સેવા કરતો રહીશ. મારી જિંદગીની એક-એક ક્ષણ દેશ માટે સમર્પિત છે, મારા શરીરનો એક-એક કતરો દેશ માટે છે. આ પૃથ્વી પર મારો જન્મ જ સંઘર્ષ માટે થયો છે. માટે આ ધરપકડ મને અચંભિત કરતી નથી. ગત જન્મમાં જરૂર મેં ઘણાં પુણ્ય કર્યા હશે, જેથી હું ભારત જેવા મહાન દેશમાં પેદા થયો. અમે મળીને ભારતને ફરીથી મહાન બનાવવામાં આવ્યું છે. દેશની અંદર અને બહારની અનેક એવી શક્તિઓ છે, જે ભારતને નબળું કરી રહી છે.

તેમણે આગળ કહ્યુ છે કે આપણે સચેત રહીને આ શક્તિઓને ઓળખવાની અને હરાવવાની છે. ભારતમાં જ ઘણી શક્તિઓ છે, જે દેશભક્ત છે અને ભારતને આગળ વધારવા માંગે છે. આ શક્તિઓની સાથે જોડાવાનું છે અને તેમને વધુ મજબૂત કરવાની છે.

સુનીતા કેજરીવાલે સીએમને સંદેશ વાંચતા કહ્યુ છે કે દિલ્હીની મારી માતાઓ-બહેનો વિચારી રહી હશે કે કેજરીવાલ તો અંદર ચાલ્યા ગયા, 1000 રૂપિયા મળશે કે નહીં. એવા જેલના સળિયા નથી બન્યા જે તમારા ભાઈ અને દીકરાને તેની પાછળ રાખી શકે. હું જલ્દી બહાર આવીશ અને મારો વાયદો પૂર્ણ કરીશ. શું આજ સુધી એવું થયું છે કે કેજરીવાલે કોઈ વાયદો કર્યો અને તે પુરો થયો નથી. તમારો ભાઈ-દીકરો લોખંડનો બનેલો છે, એક વિનંતી છે મંદિર જરૂર જાવ અને ભગવાન પાસે મારા માટે આશિર્વાદ માંગો.

સુનીતાએ અરવિંદ કેજરીવાલનો સંદેશ વાંચતા કહ્યું છે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને મારી અપીલ છે કે લોકસેવાનું કામ રોકાવું જોઈએ નહીં અને આ કારણથી ભાજપવાળાઓથી નફરત ન કરશો, ભાજપવાળા પણ આપણા ભાઈ-બહેન છે. હું જલ્દી પાછો ફરીશ.