Site icon Revoi.in

વિધાનસભા ચૂંટણીઃ આસામ, કેરળ અને પુડુચેરીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન, PM મોદીએ કરી ખાસ અપીલ

Social Share

નવી દિલ્હી, 9 એપ્રિલ 2026: આસામ, કેરળ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં વિધાનસભાની ચૂંટણી માટે આજે સવારથી શાંતિપૂર્ણ રીતે મતદાન શરૂ થઈ ગયું છે. સવારે 7:00 વાગ્યાથી જ મતદારો ઉત્સાહભેર મતદાન મથકો પર પહોંચી રહ્યા છે. ત્રણેય રાજ્યોમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. સવારે 9 વાગ્યા સુધીમાં અસમમાં 17.87 ટકા, કેરલમાં 16.23 ટકા અને પુડુચેરીમાં 17.41 ટકા મતદાન થયું હતું.

આજના મતદાનમાં ત્રણેય રાજ્યોની તમામ બેઠકો પર એક જ તબક્કામાં પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.આસામની બધી 126 બેઠકો, કેરળની 140 અને પુડુચેરીની 30 બેઠકો પર એક જ તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. આ ચૂંટણી જંગમાં કુલ 890 ઉમેદવારો મેદાનમાં છે, જેમના રાજકીય ભાવિનો ફેંસલો આજે લાખો મતદારો કરશે.

મતદાન પ્રક્રિયાને સુગમ અને સુરક્ષિત બનાવવા માટે ચૂંટણી પંચ દ્વારા અભૂતપૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે. અપ્રિય ઘટનાઓ રોકવા માટે દરેક મથક પર સશસ્ત્ર પોલીસ બંદોબસ્ત તૈનાત છે. ભીડને નિયંત્રિત કરવા માટે મુખ્ય મથકોની સાથે વધારાના સહાયક મથકોની વ્યવસ્થા કરાઈ છે. ગરમીને ધ્યાનમાં રાખીને પીવાનું પાણી, શેડ (છાંયો) અને દિવ્યાંગો માટે વિશેષ રેમ્પની સુવિધા સુનિશ્ચિત કરવામાં આવી છે.

મતદાન શરૂ થતાની સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટ શેર કરી હતી. તેમણે નાગરિકોને, ખાસ કરીને યુવા મતદારોને, લોકશાહીના આ પર્વમાં ભાગ લેવા અને મોટી સંખ્યામાં મતદાન કરીને રેકોર્ડ નોંધાવવા માટે આગ્રહ કર્યો હતો.

આજે સાંજે 6:00 વાગ્યા સુધી મતદાન ચાલશે, જે બાદ તમામ ઉમેદવારોના ભાવિ EVM માં કેદ થઈ જશે. સત્તાના આ મહાસંગ્રામનું અંતિમ પરિણામ આગામી 4 મે ના રોજ જાહેર કરવામાં આવશે.

Exit mobile version