Site icon Revoi.in

કોરોના દર્દી સાજા થવાનો રેટ માત્ર 56 દિવસમાં 22 ટકા ઘટીને 75.54 સુધી આવી ગયો

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ કુદકે ને ભૂસકે વધતા જાય છે, સાથે મૃત્યુઆંક પણ વધતો જાય છે. ચિંતાજનક બાબત એ છે કે, દર્દીઓને સાજા થવાનો રિકવરી રેટ પણ ઘટતો જાય છે. ગુજરાતમાં છેલ્લા 56 દિવસમાં કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ 97.49 ટકાથી ઘટીને 75.54 ટકા સુધી પહોંચી ગયો છે, એટલે કે 22.11 ટકા રિકવરી રેટ ઘટ્યો હતો. એ જોતાં કોરોનાના દર્દીઓની સારવારમાં ઢીલાશ અને દવા, બેડ અને ઓક્સિજનની અછત હોવાનું પુરવાર થઈ રહ્યું છે.

ગુજરાતમાં કોરોનાના કેસ દિન-પ્રતિદિન વધી રહ્યા છે, એની સામે રિકવરી રેટ પણ ઘટી રહ્યો છે. 31 માર્ચના રોજ ગુજરાતમાં રિકવરી રેટ 94.43 ટકા સુધી પહોંચી ગયો હતો. સમગ્ર માર્ચ મહિનામાં પણ રિકવરી રેટ વધ્યો હતો, પરંતુ 28 ફેબ્રુઆરીના રોજ તો ગુજરાતમાં કોરોનાનો રિકવરી રેટ છેક 97.49 ટકા સુધી પહોંચી ગયો હતો, ત્યાર બાદ માર્ચના 31 દિવસ અને એપ્રિલના 25 દિવસ મળી 56 દિવસમાં આ રિકવરી રેટ ઘટીને 76.38 ટકા સુધી આવી ગયો છે, એટલે કે 56 દિવસમાં કોરોનાના દર્દી સાજા થવાનો રેટ 22.11 ટકા ઘટી ગયો છે.

ખાસ કરીને જુલાઈ 2020થી ફેબ્રુઆરી 2021 સુધી ગુજરાતમાં કોરોનાનો રિકવરી રેટ સતત વધવા લાગ્યો હતો, જેથી આ દિવસોમાં દૈનિક કેસની સરખામણીમાં સાજા થનારા દર્દીની સંખ્યા વધુ નોંધાઇ હતી. એપ્રિલના 25 દિવસમાં જ ગુજરાતમાં કોરોનાના દર્દીની સારવારમાં ઢીલાશ અને મેડિકલ સિસ્ટમ તૂટી પડવાની સ્થિતિમાં આવી જતાં રિકવરી રેટ 18.04 ઘટ્યો હતો. ગુજરાતમાં 31મી જાન્યુઆરીએ કોરોના દર્દીનો રિકવરી રેટ 96.99 ટકા હતો. 28 ફેબ્રુઆરીએ 97.49 ટકા અને 31 માર્ચના રોજ 94.43 ટકા થયો હતો અને 25 એપ્રિલના રોજ 75.54 ટકા સુધી ઘટી ગયો હતો.