Site icon Revoi.in

ગૌતમ અદાણીએ ભારતને પોતાનો વિકાસ માર્ગ સ્વયં નક્કી કરવા હાકલ કરી

Social Share

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (ઇન્ડિયન સ્કૂલ ઓફ માઇન્સ) ધનબાદના શતાબ્દી સમારોહની ઉજવણીમાં  અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ એક મજબૂત સંદેશ આપ્યો. તેમણે કહ્યું કે ભારતે બાહ્ય પ્રભાવોથી મુક્ત વિકાસ માટે પોતાનો માર્ગ સ્વયં બનાવવો જોઈએ અને સંસાધનોના સાર્વભૌમત્વ અને નવીનતા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.  

વિદ્યાર્થીઓ, ફેકલ્ટીઝ અને મહાનુભાવોને સંબોધતા ગૌતમ અદાણીએ એ વાત પર ભાર મૂક્યો કે રાષ્ટ્ર માટે જે શ્રેષ્ઠ હોય તેને ધ્યાનમાં રાખીને જ આપણા નિર્ણયો લેવા જોઈએ. IIT-ISM ધનબાદ ખાતે અદાણી ગ્રુપના ચેરમેને એ વાત પર ભાર મૂક્યો કે કોઈપણ રાષ્ટ્ર પોતાની માટીની શક્તિમાં નિપુણતા મેળવ્યા વિના ઉભરી શકતું નથી. 21મી સદીમાં સાચી સ્વતંત્રતા કુદરતી સંસાધનો અને ઉર્જા પ્રણાલીઓના નિયંત્રણ પર આધારિત છે.  

IIT-ISM ધનબાદના મૂળને યાદ કરતા તેમણે કહ્યું કે, બ્રિટિશ શાસન હેઠળ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ખાણકામ અને ભૂસ્તરશાસ્ત્રમાં યુવાઓને પારંગત બનાવવાના વિઝન સાથે તેની સ્થાપના થઈ હતી. તેમણે આપણા સંસાધનોમાં નિપુણતા અને આપણા ઉદયને બળ આપતી ઉર્જામાં નિપુણતાને આપણી આર્થિક સ્વતંત્રતાના બે સ્તંભો ગણાવ્યા.

વૈશ્વિક ડેટાને ટાંકી ગૌતમ અદાણીએ “નેરેટીવ કોલોનાઈઝેશન” કરતા દેશો સામે ચેતવણી ઉચ્ચારતા કહ્યું કે અભૂતપુર્વ ઉત્સર્જન ધરાવતા દેશો ભારત જેવા દેશો માટે વિકાસની પ્રાથમિકતાઓ નક્કી કરવાનો પ્રયાસ કરે છે. ભારતના ટકાઉપણાંના પ્રદર્શનને ડાઉનગ્રેડ કરવાના પ્રયાસો વૈશ્વિક ESG ફ્રેમવર્કમાં પૂર્વગ્રહોને પ્રતિબિંબિત કરે છે. પ્રગતિ માટે ભારતે પોતાના ધોરણો જાતે નક્કી કરવાની હાકલ કરતા તેમણે કહ્યું કે. “જો આપણે આપણા નેરેટીવને નિયંત્રિત નહીં કરીએ, તો આપણી આકાંક્ષાઓ ગેરકાયદેસર થઈ જશે.”  

ભારતની સિદ્ધિઓ પર પ્રકાશ પાડતા, ગૌતમ અદાણીએ ઉમેર્યુ હતું કે આપણો દેશ વિશ્વના સૌથી ઓછા માથાદીઠ ઉત્સર્જકોમાંનો એક છે અને તે નિયત સમય પહેલાં 50% બિન-અશ્મિભૂત સ્થાપિત ક્ષમતાને વટાવી ગયો છે. તેમણે એવા વૈશ્વિક માળખાને પક્ષપાતી ગણાવી ટીકા કરી જે માથાદીઠ માપદંડો અને ઐતિહાસિક જવાબદારીને અવગણે છે. અદાણીએ ઓસ્ટ્રેલિયામાં કાર્માઇકલ ખાણને ભારતની ઉર્જા સુરક્ષા માટે મહત્વપૂર્ણ ગણાવી અને ગુજરાતમાં 30 GW ખાવડા પાર્ક સહિત ગ્રુપના નવીનીકરણીય ઉર્જા રોકાણો પર પ્રકાશ પાડ્યો.

શતાબ્દી ઉજવણી નિમિત્તે તેમણે IIT-ISM માટે બે મહત્વપૂર્ણ પહેલોની જાહેરાત કરી. એક, પ્રી-પ્લેસમેન્ટ ઑફર્સ સાથે વાર્ષિક 50 પેઇડ ઇન્ટર્નશિપ અને બીજી અદાણી 3S માઇનિંગ એક્સેલન્સ સેન્ટર (TEXMiN) જેમાં મેટાવર્સ લેબ્સ, ડ્રોન ફ્લીટ્સ અને ચોકસાઇ ખાણકામ સાધનો જેવી અદ્યતન તકનીકો શામેલ છે.  

અદાણીએ ભારતના વર્તમાન સમયગાળાને “બીજો સ્વતંત્રતા સંગ્રામ” ગણાવ્યો, જે આર્થિક અને સંસાધન સાર્વભૌમત્વ પર કેન્દ્રિત છે. તેમણે કહ્યું કે “લોકો ખાણકામને જૂની અર્થવ્યવસ્થા કહી શકે છે, પરંતુ તેના વિના, કોઈ નવી અર્થવ્યવસ્થા નથી.”

નવી પેઢીને પ્રેરણા આપતા ગૌતમ અદાણીએ વિદ્યાર્થીઓને “નિર્ભયતાથી સ્વપ્ન જોવા, અવિરતપણે કાર્ય કરવા” અને ભારતની પ્રમુખ ક્ષમતાઓના રક્ષક બની આત્મવિશ્વાસપૂર્ણ અને આત્મનિર્ભર રાષ્ટ્રને આકાર આપવા હાંકલ કરી.

Exit mobile version