Site icon Revoi.in

GCCI બિઝનેસ વુમન કમિટી દ્વારા “ધ વેલનેસ કન્વર્સેશન” વિષયક સત્રનું આયોજન

GCCI Business Women Committee organized a session on “The Wellness Conversation”

GCCI Business Women Committee organized a session on “The Wellness Conversation”

Social Share

અમદાવાદ, 8 મે, 2026 – GCCI બિઝનેસ વુમન કમિટીએ “ધ વેલનેસ કન્વર્સેશન” વિષય પર એક વિશેષ સત્રનું આયોજન કર્યું હતું. આ સત્રમાં ફાઉન્ડેશનલ મેડિસિન અને લાઇફસ્ટાઇલ એક્સપર્ટ શ્રી લ્યુક કુટિન્હો મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે HCG આસ્થા કેન્સર સેન્ટર, અમદાવાદના સર્જિકલ ઓન્કોલોજિસ્ટ અને ડિરેક્ટર ડૉ. ડી. જી. વિજય સહ-વક્તા તરીકે હાજર રહ્યા હતા.

સભાનું સ્વાગત કરતાં GCCI BWC ના કો-ચેરપર્સન શ્રીમતી શાલુ લેખડિયાએ બિઝનેસ વુમન કમિટી દ્વારા વર્ષ દરમિયાન આયોજિત થતી “વેલનેસ” સંબંધિત વિવિધ પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી હતી. તેમણે બંને વક્તાઓનો આમંત્રણ સ્વીકારી સત્રમાં જોડાવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સ્વસ્થ જીવનશૈલી મજબૂત આરોગ્ય તેમજ રોગોથી બચાવ અને ઉપચાર માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચોઃ ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો અગિયારમો વાર્ષિક પદવીદાન સમારંભ યોજાયો

GCCIના પ્રમુખ શ્રી સંદીપ એન્જિનિયરે પ્રસંગને શોભાવ્યો હતો તથા મહેમાન વક્તાઓનું સન્માન કર્યું હતું. શ્રીમતી સેજલ કુસુમગરે ડૉ. ડી. જી. વિજયનો પરિચય આપતા ઓન્કોલોજીના ક્ષેત્રમાં તેમની સિદ્ધિઓ અંગે માહિતી આપી હતી.

પ્રસંગોપાત પોતાના સંબોધનમાં ડૉ. ડી. જી. વિજયે જણાવ્યું હતું કે આરોગ્ય પ્રત્યેનો દ્રષ્ટિકોણ સર્વાંગી હોવો જોઈએ. આરોગ્યનો અર્થ માત્ર શારીરિક નહીં પરંતુ માનસિક અને સામાજિક સુખાકારી પણ છે. તેમણે “બ્રેસ્ટ કેન્સર” વિષય પર વિસ્તૃત માહિતી આપતા નિયમિત વ્યાયામ તથા તણાવમુક્ત જીવનશૈલી કેન્સરના જોખમને ઘટાડવામાં મદદરૂપ હોવાનું જણાવ્યું હતું. તેમણે બ્રેસ્ટ કેન્સર સંબંધિત માન્યતાઓ અને હકીકતો વિશે પણ વિગતવાર ચર્ચા કરી હતી.

શ્રીમતી નમ્રતા શાહે શ્રી લ્યુક કુટિન્હો પરિચય આપતા હોલિસ્ટિક હેલ્થ ક્ષેત્રે તેમના નોંધપાત્ર કાર્ય અંગે માહિતી આપી હતી.

ફાયરસાઇડ ચેટ

GCCI BWC ના ચેરપર્સન શ્રીમતી આશા વઘાસિયા દ્વારા સંચાલિત ફાયરસાઇડ ચેટ દરમિયાન શ્રી લ્યુક કુટિન્હો એ હોલિસ્ટિક હેલ્થ અને વેલનેસ અંગે મૂલ્યવાન માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જીવનના દરેક ક્ષેત્રમાં મર્યાદા જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને ખાસ કરીને સોશિયલ મીડિયાના અતિરેક ઉપયોગથી જીવનશૈલી તથા માનસિક આરોગ્ય પર થતી નકારાત્મક અસર અંગે ચેતવણી આપી હતી.

આપણું શરીર મંદિર સમાન

તેમણે જણાવ્યું હતું કે “આપણું શરીર એક મંદિર સમાન છે” અને શરીરના સ્વાભાવિક સંકેતોને સમજવા અને માન આપવાની જરૂર છે, કારણ કે શરીર આપણને તેની જરૂરિયાત અંગે સંકેત આપતું રહે છે. તેમણે ક્રોનિક સ્ટ્રેસ અને આંતરડાના આરોગ્ય વચ્ચેના ગાઢ સંબંધ અંગે ચર્ચા કરતા જણાવ્યું હતું કે અતિશય તણાવ અંતે હાર્ટ એટેક જેવી ગંભીર આરોગ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે.

શ્રી કાઉટિન્હોએ ભાગ લેનારાઓને સવારે ઊઠ્યા બાદ તરત સ્ક્રીનનો ઉપયોગ ટાળવા અને તેના બદલે ઓછામાં ઓછા 10 મિનિટ સુધી કુદરતી સૂર્યપ્રકાશમાં સમય પસાર કરવાની સલાહ આપી હતી, જે શારીરિક અને માનસિક આરોગ્ય માટે લાભદાયી છે. તેમણે પૂરતી ઊંઘ અને જીવનશૈલીમાં નાના પરંતુ નિયમિત સકારાત્મક ફેરફારોના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે સતત અપનાવવામાં આવેલી નાની સારી આદતો પણ જીવનમાં ચમત્કારિક પરિવર્તન લાવી શકે છે. અંતમાં GCCI BWC ના કો-ચેરપર્સન શ્રીમતી કવિતા દેસાઈ શાહ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

Exit mobile version