ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. અમદાવાદ સહિત અનેક શહેરોમાં તાપમાનનો પારો 42 થી 45 ડિગ્રી સેલ્સિયસની આસપાસ પહોંચી ગયો છે. આ કાળઝાળ ગરમીમાં શરીરને ઠંડક આપવા અને ડિહાઈડ્રેશનથી બચવા માટે લોકો કુદરતી ફળોનો આશરો લઈ રહ્યા છે. ઉનાળામાં સૌથી વધુ વેચાતા બે ફળો એટલે ‘કાકડી’ અને ‘તરબૂચ’. પરંતુ પ્રશ્ન એ થાય છે કે આ બંનેમાંથી સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક શું છે?
નિષ્ણાતોના મતે, હાઈડ્રેશન માટે બંને ફળો ઉત્તમ છે, પરંતુ પાણીના જથ્થાની દ્રષ્ટિએ કાકડી તરબૂચ કરતા થોડી આગળ છે. કાકડીમાં 95થી 96 ટકા પાણી હોય છે. જે તેને સૌથી વધુ હાઈડ્રેટિંગ પૂડ બનાવે છે. જ્યારે તરબુચમાં અંદાજે 91થી 92 ટકા પાણી હોય છે. તરબૂચમાં વિટામિન એ અને સી ભરપૂર માત્રામાં હોય છે જે ઈમ્યુનિટી વધારે છે. તેમાં રહેલું ‘લાઈકોપીન’ એન્ટીઓક્સિડન્ટ હૃદયના સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. જોકે, તરબૂચમાં કુદરતી શર્કરા વધુ હોવાથી ડાયાબિટીસના દર્દીઓએ તેનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ. વળી, બજારમાં મળતા ઈન્જેક્શનવાળા કે ભેળસેળિયા તરબૂચથી સાવધ રહેવું પણ જરૂરી છે.
કાકડીમાં કેલરી ખૂબ જ ઓછી હોય છે, જે વજન ઉતારવા માંગતા લોકો માટે આશીર્વાદરૂપ છે. તેમાં રહેલું વિટામિન-કે હાડકાંને મજબૂત બનાવે છે. કાકડી શરીરના ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે અને પાચનતંત્રને ઠંડક આપે છે. નિષ્ણાંતોના મતે તરબૂચ વધુ પડતું ખાવાથી શરીરમાં ‘ઓવર ફ્લુઈડ’ની સમસ્યા થઈ શકે છે. રાત્રે આ બંને વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ કારણ કે તેનાથી વારંવાર પેશાબ જવું પડી શકે છે અને ઊંઘમાં ખલેલ પહોંચે છે. કાકડીને તમે સલાડ કે રાયતા તરીકે પણ આહારમાં સામેલ કરી શકો છો.

