નવી દિલ્હી, 2 ફેબ્રુઆરી 2026: ટી20 વર્લ્ડ કપ 2026ના પ્રારંભના માત્ર 6 દિવસ પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ ભારત સામેની મેચનો બહિષ્કાર કરીને ખળભળાટ મચાવી દીધો છે. પાકિસ્તાન સરકારના આદેશને પગલે લેવાયેલા આ નિર્ણયને કારણે માત્ર ખેલ જગત જ નહીં, પરંતુ આર્થિક મોરચે પણ ભૂકંપ આવ્યો છે. જો આ મેચ નહીં રમાય, તો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) ને અંદાજે 200 કરોડ રૂપિયાનું જંગી નુકસાન થવાની ભીતિ છે.
ICC ની કમાણીનો મુખ્ય સ્ત્રોત ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચો હોય છે. કોઈપણ ICC ટૂર્નામેન્ટમાં આ મુકાબલો સૌથી વધુ રેવન્યુ જનરેટ કરતો હોય છે. અહેવાલ મુજબ, સામાન્ય રીતે ભારતની કોઈપણ મેચમાંથી 100 કરોડની કમાણી થાય છે, પરંતુ ભારત-પાકિસ્તાન મેચમાં આ આંકડો બમણો થઈ જાય છે. ટૂર્નામેન્ટના સત્તાવાર બ્રોડકાસ્ટરને આ મેચ રદ થતા જાહેરાતોની કમાણીમાં મોટું નુકસાન જશે, જેની સીધી અસર અંતે ICC ને ચૂકવવામાં આવતી ફી પર પડશે.
ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન એડ રેટ્સ આસમાને હોય છે. આ મેચ માટે 10 સેકન્ડની એડ સ્લોટની કિંમત 25 લાખ થી 40 લાખ રૂપિયા સુધીની હોય છે. મેચ રદ થવાની સ્થિતિમાં બ્રોડકાસ્ટર્સ આ આવક ગુમાવશે અને તેથી જ આ કુલ નુકસાન 200 કરોડ સુધી પહોંચવાની શક્યતા છે.
- આ નુકસાનની ભરપાઈ માટે ICC કડક પગલાં ભરી શકે છે
દંડ અને વળતર: સૂત્રોના જણાવ્યા અનુસાર, ICC બ્રોડકાસ્ટરને થતા નુકસાનની ભરપાઈ કરવા માટે PCB ને મજબૂર કરી શકે છે.
રેવન્યુ શેરિંગ મોડલ: ICC દ્વારા દરેક દેશના ક્રિકેટ બોર્ડને આપવામાં આવતા ફંડમાં કાપ મૂકવામાં આવશે. BCCI જેવું અમીર બોર્ડ આ સહન કરી શકશે, પરંતુ આર્થિક સંકડામણ ભોગવતા PCB માટે આ આંચકો અસહ્ય હશે.
ICC એ પહેલેથી જ PCB ને ‘ગંભીર પરિણામો’ ભોગવવાની ચેતવણી આપી દીધી છે. જો પાકિસ્તાન પોતાના નિર્ણય પર અડગ રહેશે, તો માત્ર દંડ જ નહીં પરંતુ ભવિષ્યની ઇવેન્ટ્સમાં તેમની ભાગીદારી પર પણ જોખમ ઊભું થઈ શકે છે.
આ પણ વાંચોઃ રોહિત શેટ્ટીના ઘર પર ફાયરિંગનો માસ્ટરમાઇન્ડ શુભમ લોનકર હોવાનો ખુલાસો

