નવી દિલ્હી, 2 ફેબ્રુઆરી 2026: આગામી T20 વર્લ્ડ કપ પહેલા ક્રિકેટ જગતમાં મોટો વિવાદ સર્જાયો છે. પાકિસ્તાન સરકારે પોતાની ટીમને શ્રીલંકા જવાની મંજૂરી તો આપી દીધી છે, પરંતુ 15 ફેબ્રુઆરીએ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારત સામે રમાનારી હાઈ-વોલ્ટેજ મેચનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાનના આ અણધાર્યા વલણ પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ સખત નારાજગી વ્યક્ત કરી છે અને પીસીબી (PCB) ને ગંભીર ચેતવણી આપી છે.
ICC એ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, કોઈ પણ વૈશ્વિક ટૂર્નામેન્ટમાં ‘પસંદગીના આધારે’ ભાગ લેવો એ રમતની અખંડિતતા અને નિષ્પક્ષતાને નુકસાન પહોંચાડે છે. ICC એ ઉમેર્યું કે, “રમતગમતમાં રાષ્ટ્રીય નીતિઓનું અમે સન્માન કરીએ છીએ, પરંતુ આ નિર્ણય પાકિસ્તાનના લાખો ચાહકો અને વૈશ્વિક ક્રિકેટના હિતમાં નથી. અમે PCB પાસેથી આ અંગે સત્તાવાર સ્પષ્ટતાની રાહ જોઈ રહ્યા છીએ.”
જો પાકિસ્તાન ભારત સામેની મેચમાં મેદાન પર નહીં ઉતરે, તો તેને આકરા નિયમોનો સામનો કરવો પડશે. પાકિસ્તાને ભારતને વોકઓવર આપવો પડશે અને તેના બે મહત્વના પોઈન્ટ્સ ગુમાવવા પડશે. ICC ના નિયમ મુજબ, બહિષ્કાર કરનાર ટીમની આખી ઓવર ગણતરીમાં લેવાશે, જેની સીધી અસર તેમના નેટ રન રેટ પર પડશે. આ સ્થિતિ પાકિસ્તાન માટે સેમીફાઈનલની રેસમાંથી બહાર થવાનું કારણ બની શકે છે.
ઉલ્લેખનીય છે કે, સુરક્ષાના કારણોસર ભારતમાં રમવાનો ઇનકાર કર્યા બાદ ICC એ 24 જાન્યુઆરીએ જ બાંગ્લાદેશને ટૂર્નામેન્ટમાંથી હટાવી દીધું હતું અને તેના સ્થાને સ્કોટલેન્ડને સામેલ કર્યું હતું. હવે પાકિસ્તાન પણ તેવા જ માર્ગે જઈ રહ્યું હોય તેવું જણાય છે.
પાકિસ્તાન ગ્રુપ-A માં ભારત, નામિબિયા, નેધરલેન્ડ અને અમેરિકા સાથે છે. પાકિસ્તાનની તમામ મેચો શ્રીલંકામાં યોજાવાની છે. પાકિસ્તાન 7 ફેબ્રુઆરીએ નેધરલેન્ડ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. જોકે, જો પાકિસ્તાન અને ભારત નોકઆઉટ કે ફાઈનલમાં સામસામે આવે તો શું થશે, તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
આ પણ વાંચોઃ બલૂચિસ્તાન: લોહિયાળ જંગમાં 145નાં મોત, પાકિસ્તાની સેનાનું ઓપરેશન

