- નેશનલ શૂટર તારા સહદેવે વર્ણવી પોતાની આપવીતી; ‘મારો કેસ પ્રોપેગેન્ડા નથી, સત્ય છે’
નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી, 2026 – Kerala Story-2 કેરળ સ્ટોરી ભાગ-1 ફિલ્મની ભયાનક વાસ્તવિકતા હજુ ભારતીયોના દિલોદીમાગ ઉપર છવાયેલી છે ત્યારે આ અઠવાડિયે રિલીઝ થઈ રહેલી કેરળ સ્ટોરી ભાગ-2ની વાસ્તવિક વાતો વધુ એક વખત ભારતીયોને હચમચાવશે એવું જણાય છે.
આ ફિલ્મ હાલમાં ભારે ચર્ચામાં છે ત્યારે ગઈકાલે સોમવારે દિલ્હીમાં આ સંદર્ભે એક પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં ફિલ્મ સાથે જોડાયેલા લોકો ઉપરાંત કેટલીક એવી મહિલાઓ અને પરિવારો હાજર હતા જેઓ વાસ્તવમાં આ પ્રકારની ઘટનાઓનો શિકાર બન્યા હતા અને લવ જેહાદની છેતરપિંડી વિરુદ્ધ લડાઈ લડીને તેઓ બહાર નીકળ્યા હતા.
આ પત્રકાર પરિષદમાં તારા સહદેવ હાજર હતા. એક સમયે નેશનલ શૂટર રહી ચૂકેલા તારાએ પત્રકારો સમક્ષ પોતાની આપવીતી સંભળાવી હતી અને કહ્યું કે જેઓ કહે છે કે આ ફિલ્મ પ્રોપેગેન્ડા છે તેઓ અમારી સાચી વાતો સાંભળે.
શું છે તારા સહદેવની સાચી વાત?
તેમણે હિંમતપૂર્વક પોતાની વાત રજૂ કરતાં કહ્યું કે, “અહીં આવતા પહેલા જ્યારે હું ‘ધ કેરળ સ્ટોરી-2’ ના રિવ્યુઝ અને આ બધું જોઈ રહી હતી, ત્યારે મેં ઘણા મોટા લોકોની કોમેન્ટ્સ પણ જોઈ કે આ એક અફવા છે અને જાણી જોઈને જૂઠ ફેલાવવામાં આવી રહ્યું છે. મારો કેસ 2014 નો છે. લોકો માટે તો અમારી દરેક આપવીતી એક વાર્તા છે, તો તેને આપણે વાર્તાની જેમ સાંભળીએ, પરંતુ આ એક સત્ય છે, એક મહિલા જે સહન કરીને બહાર આવી છે તેની આપવીતી છે. અમે બધા અહીં જીવતા તમારી સામે બેઠા છીએ. હું એ માનું છું કે આ અમારું નસીબ છે કે અમે તમારી સાથે વાત કરી શકીએ છીએ.”
તારાએ આગળ જણાવ્યું, “2014 માં હું નેશનલ શૂટર હતી અને તે સમયે મારી કારકિર્દી પીક પર હતી. અમારા પરફોર્મન્સ કેમ્પ ચાલી રહ્યા હતા અને મારી સાથે કંઈક એવું થયું હતું કે જે વ્યક્તિને હું મળી હતી, તેની સાથે શૂટિંગ રેન્જ પર જ મારી મુલાકાત થઈ હતી અને તે લોકો ખૂબ જ મોટા ઓફિસર રેન્ક બનીને ત્યાં પહોંચ્યા હતા.”
જજ લઈને આવ્યા હતા નકલી માંગું
તારા સહદેવે કહ્યું કે, “મારાં લગ્ન માટેની જે વાત આવી હતી તે એક જજ લઈને આવ્યા હતા. તે જજ જ તે વ્યક્તિને મારા ઘરે અને પરિવારને મળાવવા લાવ્યા હતા. મારી માતાનું મૃત્યુ થોડા સમય પહેલા જ થયું હતું. હું ઘણી ઈમોશનલ હતી અને તે સમયે હું મારી જાતને સંભાળી શકતી નહોતી. પપ્પાજીની તબિયત ખરાબ હતી, એટલે તે લોકોને આ વાત ખૂબ સારી રીતે ખબર હતી કે કયો માણસ કયા સમયે કઈ સ્થિતિમાં છે, કારણ કે તેઓ તમને ટ્રેક કરે છે. તેમણે તે ક્ષણને ઝડપી લીધી કે હાલ (અર્થાત તે સમયે) હું માનસિક રીતે ભાંગી પડેલી છું. પપ્પાજીની સામે જ તે જજે મને કહ્યું કે છોકરાને માત્ર માતા જ છે અને તેઓ તમને દીકરી બનાવીને પાળશે. મારો વિચાર એવો હતો કે મારે શૂટિંગ ચાલુ રાખવું હતું.”
બધું બરાબર લાગતું હતું પરંતુ લગ્ન પછી થયો ખુલાસો
તારાએ જણાવ્યું, “મારે મારો અભ્યાસ આગળ વધારવો હતો કારણ કે ત્યારે હું 12 મું પાસ હતી. બધું નક્કી થયા પછી ઘરના સભ્યોએ જ્યારે મને પૂછ્યું કે તમે તપાસ નથી કરી? તો મારો કેસ જ્યાં સુધી હું સમજું છું સુધી મારા પપ્પા અને મારા ભાઈ – અમારા પરિવારના સભ્યોએ બધી જ તપાસ કરી હતી. દરેક જગ્યાએ તે લોકો સાચા સાબિત થયા હતા, તેમની પોતાની એક ઓળખ હતી જે હિન્દુ ઓળખ હોય છે. તેમની ઓફિસ, તેમનું કાર્યસ્થળ બધું જ હતું. તેમના ગાર્ડિયન જજ હતા, એટલે જો એમ કહેવું હોય કે આ માત્ર અમારી ચૂક છે કે અમે તેમને ઓળખી શક્યા નહીં, તો મને લાગે છે કે તે ક્યાંક ને ક્યાંક ખોટું હશે કારણ કે અમે એક સામાન્ય માણસ છીએ.”
“આજે હું તમારી સામે ઊભી છું તો તમે મને જાણો છો કે હું તારા સહદેવ છું. પરંતુ એવા લોકો પણ છે જે બેવડી ઓળખ (Double Identity) સાથે જીવે છે, જે મને ત્યાં ગયા પછી ખબર પડી. તેની સાચી ઓળખ મને લગ્ન પછી ખબર પડી જ્યારે થોડા મહિના પછી મારા લગ્ન થયા.”
સાસરીમાં પહેલી સવાર હતી ખતરનાક
“લગ્ન પહેલા અમે સગાઈ માટે તેમના ઘરે જ ગયા હતા કારણ કે તેની માતાની સર્જરી થઈ હતી. ત્યાં બધું જ આપણે જે હિન્દુ રીત-રિવાજો જાણીએ છીએ તેવું હતું. આપણા ઘરમાં તમે પ્રવેશ કરો ત્યારે જે દૃશ્ય હોય – જેમ કે માતાજી અને દેવી-દેવતાઓની તસવીર, ઓમ, સ્વાસ્તિક – જે આપણે સામાન્ય રીતે લગાવીએ છીએ તેવું જ દૃશ્ય તેના ઘરે હતું. 7 જુલાઈ 2014 ના રોજ મારા લગ્ન થયા. તે જ રાત્રે હું ગઈ તો તે લોકોએ મને કહ્યું કે તમે સુઈ જાવ અને આપણે સવારે વાત કરીએ છીએ.”
તારાએ તે ભયાનક સવારને યાદ કરતા કહ્યું, “મને ખબર નથી કે તેમણે મને શું જમવાનું આપ્યું હતું. મેં ખાધું અને ઘણી વાર પછી જ્યારે સવારે મારી આંખ ખુલી અને હું રૂમની બહાર આવી તો તે ઘર, હવે તે ઘર જેવું નહોતું લાગતું. તે ઘરમાં મને આજે પણ યાદ છે મક્કા-મદીનાનો ફોટો હતો. અલ્લાહનો તે સિમ્બોલ જોઈને મને લાગ્યું કે ખબર નહીં હું ક્યાં આવી ગઈ છું. મારો તે પહેલો દિવસ હતો અને હું ગભરાઈને તેની મા પાસે ગઈ કે આ બધું શું છે? તો તેણે મને જોરથી ધક્કો મારીને કહ્યું કે ‘આ જ મારું સત્ય છે અને તારે હવે અહીં જ રહેવાનું છે.’ મને આજે પણ તે પળ યાદ છે.”

