નવી દિલ્હી, 19 ફેબ્રુઆરી, 2026: Notice issued to MPs સંસદીય નિયમો અને ધારાધોરણોનું પાલન નહીં કરનાર કોંગ્રેસના સંસદસભ્યો મુશ્કેલીમાં મૂકાઈ શકે છે. મળતા અહેવાલ અનુસાર, લોકસભાની પ્રિવિલેજ કમિટી (વિશેષાધિકાર સમિતિ)એ કોંગ્રેસના મીડિયા સેલ સાથે જોડાયેલા 8 નેતાઓને નોટિસ પાઠવી છે.
કહેવાય છે કે, લોકસભા સ્પીકર ઓમ બિરલાના નિર્દેશ પર આ કાર્યવાહી કરવામાં આવી છે. નોટિસમાં આ નેતાઓ પાસેથી 7 દિવસની અંદર લેખિત જવાબ માંગવામાં આવ્યો છે કે તેમણે સ્પીકર અને ગૃહની ગરિમા વિરુદ્ધ શું નિવેદનો આપ્યાં અને એ બધું સોશિયલ મીડિયા પર કેમ પોસ્ટ કર્યું?
કોંગ્રેસના કયા સાંસદોને મળી નોટિસ?
વિશેષાધિકાર ભંગના આરોપે હેઠળ જેમને નોટિસ મળી છે તેમાં કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા અને મીડિયા સેલના સભ્યો સામેલ છે, જેમાં પવન ખેડા, જયરામ રમેશ, સુપ્રિયા શ્રીનેત, અભિષેક મનુ સિંઘવી, રજની પાટીલ, રંજીત રંજન, મનીષ તિવારી અને ગૌરવ ગોગોઈનાં નામ મુખ્ય છે. કમિટીનો આરોપ છે કે આ નેતાઓએ સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ સતત ‘અપમાનજનક’ અને ‘ખોટાં’ નિવેદનો આપ્યાં છે, જે ગૃહના વિશેષાધિકારનું ઉલ્લંઘન છે.
શું છે આખો મામલો?
આ અંગે ફરિયાદ કરનાર વિષ્ણુ દત્ત શર્માનો આરોપ છે કે કોંગ્રેસના મીડિયા વિભાગે જાણીજોઈને ભ્રામક AI વીડિયો અને અપમાનજનક તસવીરોનો સહારો લીધો હતો. આ મામલાને ગૃહની અવમાનનાની શ્રેણીમાં આવે છે, કારણ કે આ સીધી રીતે બંધારણીયપદ પર બેઠેલી વ્યક્તિના સન્માન સાથે જોડાયેલી બાબત છે.
નોટિસ અંગે કોંગ્રેસે શું કહ્યું?
કોંગ્રેસે આ કાર્યવાહીને ‘રાજકીય બદલાની કાર્યવાહી’ ગણાવી છે. પાર્ટી પ્રવક્તાએ કહ્યું કે સત્તાધારી પક્ષ વિપક્ષનો અવાજ દબાવવા માંગે છે. પવન ખેડાએ X પર લખ્યું, ‘પ્રિવિલેજનો ઉપયોગ હવે સત્તા વિરુદ્ધ બોલનારાઓને દબાવવા માટે થઈ રહ્યો છે. અમે જવાબ આપીશું.’
આ મામલે આગળ શું થશે?
જો આ નેતાઓ જવાબ નહીં આપે અથવા કમિટીને જવાબ સંતોષકારક નહીં લાગે, તો કમિટી તેમને સજા કરવાની ભલામણ કરી શકે છે. જેમાં ગૃહમાંથી સસ્પેન્શન, દંડ અથવા અન્ય કાર્યવાહી સામેલ હોઈ શકે છે.
આ પહેલીવાર નથી જ્યારે પ્રિવિલેજ કમિટીએ કોંગ્રેસ નેતાઓને નોટિસ મોકલી હોય. ગયા વર્ષે પણ કેટલાક નેતાઓને આ પ્રકારના કેસોમાં નોટિસ મળી હતી. હવે જોવાનું એ રહેશે કે આ 8 નેતાઓ શું જવાબ આપે છે અને કમિટી શું નિર્ણય લે છે!

