Site icon Revoi.in

રાજકોટથી દુબઈ અને બેંગકોકની ફ્લાઇટ્સ શરૂ કરવા રજૂઆત કરાઈ

Social Share

રાજકોટ, 10 ફેબ્રુઆરી 2026: સૌરાષ્ટ્રના આર્થિક અને ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ (હિરાસર) ખાતેથી વહેલી તકે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ થાય તે ખૂબ જરૂરી છે. આ દિશામાં સક્રિય પ્રયાસોના ભાગરૂપે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રાલયને એક મહત્વપૂર્ણ પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.

ચેમ્બર ઓફ કોમર્સની મુખ્ય માંગ એ છે કે એરપોર્ટ પર ઇમિગ્રેશન પ્રક્રિયા માટેની આખરી મંજૂરી વહેલી તકે આપવામાં આવે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા નવ મહિનામાં બે વખત (9 મહિના પહેલા અને 3 મહિના પહેલા) આ માટેના સર્વે કરવામાં આવ્યા છે, પરંતુ અંતિમ મંજૂરી હજુ બાકી છે.

વધુ વાંચો: ભારત-અમેરિકા વેપાર કરાર રાષ્ટ્રીય હિતમાં શ્રેષ્ઠ કરાર: શિવરાજસિંહ

ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિના જણાવ્યા અનુસાર, રાજકોટથી સીધી આંતરરાષ્ટ્રીય મુસાફરી કરવા માટે પ્રવાસીઓ અને ઉદ્યોગપતિઓમાં ભારે ઉત્સાહ છે. ખાનગી એરલાઇન્સ કંપનીઓએ પણ રાજકોટથી દુબઈ અને બેંગકોક જેવી લોકપ્રિય ડેસ્ટિનેશન માટે ફ્લાઇટ્સ શરૂ કરવાની તૈયારી દર્શાવી દીધી છે. રાજકોટ એન્જિનિયરિંગ અને જેમ્સ એન્ડ જ્વેલરીનું હબ હોવાથી વિદેશી વેપારીઓને અહીં આવવામાં સરળતા રહેશે, જેનાથી સ્થાનિક અર્થતંત્રને મોટો ફાયદો થશે. “જો ગૃહ મંત્રાલય દ્વારા ઇમિગ્રેશનની મંજૂરી જલ્દી આપવામાં આવે, તો આગામી ટૂંકા સમયમાં જ રાજકોટના આકાશમાં આંતરરાષ્ટ્રીય વિમાનો ગુંજતા જોવા મળશે.”

સૌરાષ્ટ્રભરના પ્રવાસીઓએ અત્યારે વિદેશ જવા માટે અમદાવાદ કે મુંબઈ સુધી લાંબો ધક્કો ખાવો પડે છે. જો રાજકોટમાં જ આ સુવિધા શરૂ થાય તો સમય અને નાણાં બંનેની બચત થશે. ચેમ્બર ઓફ કોમર્સની આ રજૂઆત બાદ હવે જોવાનું એ રહેશે કે કેન્દ્રનું ગૃહ મંત્રાલય આ મંજૂરી ક્યારે આપે છે.

વધુ વાંચો: સૂક્ષ્મ અને નાના ઉદ્યોગોને હવે 20 લાખ સુધીની કોલેટરલ-મુક્ત લોન મળશે

Exit mobile version