નવી દિલ્હી, 9 ફેબ્રુઆરી 2026: હરિયાણાની ફરીદાબાદ જેલમાં શંકાસ્પદ આતંકવાદીની હત્યાની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. નીમકા જેલમાં તિક્ષણ હથિયારના ધા ઝીંકીની અબ્દુલ રહેમાનની હત્યા કરવામાં આવતા પોલીસ તંત્ર દોડતુ થઈ ગયું છે. મધ્ય રાત્રિ બાદ કેદી અરૂણ ચૌધરીએ રહેમાન ઉપર હુમલો કર્યો હતો. અબ્દુલ રહેમાન રામ મંદિરને બોમ્બથી ઉડાવવાના કાવતરામાં સામેલ હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર શંકાસ્પદ આતંકવાદી અબ્દુલ રહેમાનની સામે રામ મંદિરને નિશાન બનાવીને બોમ્બથી ઉડાવવાના કાવતરામાં સંડોવાયેલો હોવાનું જાણવા મળે છે. 2 માર્ચ 2025ના રોજ ગુજરાત એટીએસ અને હરિયાણા પોલીસના સંયુક્ત ઓપરેશનમાં આતંકીને ઝડપી લેવામાં આવ્યો હતો. જે બાદ તેને નીમકા જેલમાં મોકલવામાં આવ્યો હતો.
કાશ્મીરના કઠુઆનો રહેવાસી અબ્દુલ રહેમાન ઉપર હુમલો કરનાર અરૂણ ચૌધરી પણ આતંકવાદી પ્રવૃતિમાં સંડોવાયેલો હોવાનું જાણવા મળે છે. તેમજ ઓક્ટોબર 2024થી નિમકા જેલમાં બંધ છે.
જેલની અંદર ક્યાં કારણોસર આતંકવાદીની હત્યા કરવામાં આવી તે સામે આવ્યું નથી. પોલીસે સમગ્ર ઘટના અંગે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. તેમજ ચૌધરીએ આતંકવાદીની કેમ હત્યા કરી તે અંગે ઉંડાણપૂર્વકની તપાસ શરૂ છે. પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. પોલીસે લાશને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપી છે.

