મુંબઈ, 28 ફેબ્રુઆરી 2026: જાણીતા ફિલ્મ દિગ્દર્શક રોહિત શેટ્ટીના જુહુ સ્થિત બંગલા પર થયેલા ફાયરિંગના કેસમાં દરરોજ નવા અને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં હવે આ ઘટના પાછળ ‘ઇન્ટરનેશનલ કનેક્શન’ સામે આવ્યું છે. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, શૂટરોને આ હુમલો કરવા માટે પડોશી દેશ નેપાળથી ફંડિંગ પૂરું પાડવામાં આવ્યું હતું.
ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યું છે કે, શૂટરોને મોટી રકમ સીધી બેંક ખાતામાં જમા કરાવવામાં આવી હતી. આ રકમ જમા કરાવવા માટે ATM કેશ ડિપોઝિટ મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેથી ઓળખ છુપાવી શકાય. પોલીસને મજબૂત પુરાવા મળ્યા છે કે આ નાણાકીય વ્યવહારના તાર નેપાળ સાથે જોડાયેલા છે. આગ્રાથી પકડાયેલા આરોપીઓને નેપાળથી સતત ફંડિંગ મળતું હોવાની પુષ્ટિ થઈ રહી છે.
પોલીસને શંકા છે કે આ માત્ર ખંડણી કે ડરાવવાનો મામલો નથી, પરંતુ તેની પાછળ કોઈ વિદેશી આતંકી શક્તિઓનો હાથ હોઈ શકે છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સંબંધિત બેંકોને સત્તાવાર પત્ર લખીને આરોપીઓના ખાતાની વિગતો, ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી અને પૈસા જમા કરાવનાર વ્યક્તિની માહિતી માંગી છે. ટૂંક સમયમાં જ આ કેસના માસ્ટરમાઇન્ડનો ચહેરો દુનિયા સામે આવી શકે છે.
રોહિત શેટ્ટીના બંગલા પર થયેલા હુમલા બાદ પોલીસ એક્શન મોડમાં છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 12 શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓની ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને હરિયાણાના અલગ-અલગ વિસ્તારોમાંથી ધરપકડ કરવામાં આવી છે. સદનસીબે, ફાયરિંગની ઘટનામાં કોઈને ઈજા થઈ ન હતી, પરંતુ બોલિવૂડમાં આ ઘટનાને કારણે ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
આ પણ વાંચોઃ સીએમ યોગીના સંકટમોચક IAS અવનીશ અવસ્થીને ફરી મળ્યું એક્સટેન્શન, 2027 સુધી રહેશે મુખ્ય સલાહકાર

