નવી દિલ્હી, ૨૪ ફેબ્રુઆરી: પશ્ચિમ બંગાળમાં SIR (સ્પેશિયલ ઇન્ટરેક્ટિવ રજિસ્ટર) સાથે જોડાયેલા દાવાઓ અને વાંધાઓના ઝડપી નિકાલ માટે સુપ્રીમ કોર્ટે આજે એક મોટો આદેશ આપ્યો છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે આ પ્રક્રિયામાં રોકાયેલા ન્યાયિક અધિકારીઓની સંખ્યા વધારવા જણાવ્યું છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો જરૂર પડે, તો કલકત્તા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ઝારખંડ અને ઓડિશા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશો પાસેથી પણ ન્યાયિક અધિકારીઓની મદદ માંગી શકે છે.
સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સૂર્યકાંતે કલકત્તા હાઈકોર્ટના ચીફ જસ્ટિસના રિપોર્ટનો હવાલો આપતા જણાવ્યું હતું કે, હાલમાં 250 જેટલા જિલ્લા જજ અને એડિશનલ જિલ્લા જજ સ્તરના અધિકારીઓ અંદાજે ૫૦ લાખ દાવાઓની તપાસ કરી રહ્યા છે. જો એક અધિકારી દરરોજ 250 કેસનો નિકાલ કરે, તો પણ આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં 80 દિવસ જેટલો સમય લાગી શકે તેમ છે. આ વિલંબને ટાળવા માટે કોર્ટે ન્યાયિક અધિકારીઓની સંખ્યામાં વધારો કરવાનો આદેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે પ્રક્રિયાને વેગ આપવા માટે વિકલ્પો આપ્યા છે. કલકત્તા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ઓછામાં ઓછો ૩ વર્ષનો અનુભવ ધરાવતા સિવિલ જજોની નિમણૂક કરી શકે છે. પાડોશી રાજ્યો ઓડિશા અને ઝારખંડ પાસેથી સેવારત અથવા નિવૃત્ત ન્યાયિક અધિકારીઓની માંગ કરી શકાય છે. આ અધિકારીઓના મુસાફરી, રહેવા અને જમવાનો તમામ ખર્ચ ચૂંટણી પંચે ઉઠાવવાનો રહેશે.
કોર્ટે જણાવ્યું છે કે જે લોકોએ 14 ફેબ્રુઆરી સુધીમાં યોગ્ય પુરાવા તરીકે માધ્યમિક બોર્ડ સર્ટિફિકેટ અથવા આધાર કાર્ડ જમા કરાવ્યા છે, તેમના દાવાઓ પર વિચાર કરવામાં આવશે. નિર્ધારિત કાર્યક્રમ મુજબ 28 ફેબ્રુઆરીએ ફાઈનલ લિસ્ટ પ્રસિદ્ધ કરવામાં આવશે. જોકે, દાવાઓની મોટી સંખ્યાને જોતા કોર્ટે ચૂંટણી પંચને છૂટ આપી છે કે તેઓ આ તારીખ પછી ‘સપ્લીમેન્ટરી લિસ્ટ’ પણ બહાર પાડી શકે છે. આ વધારાની યાદીમાં સ્થાન મેળવનાર લોકોને પણ ફાઈનલ લિસ્ટનો જ ભાગ માનવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, 20 ફેબ્રુઆરીએ રાજ્ય સરકાર અને ચૂંટણી પંચના પરસ્પરના આક્ષેપો બાદ સુપ્રીમ કોર્ટે આ પ્રક્રિયામાં ન્યાયિક અધિકારીઓની નિમણૂક કરવાનો નિર્ણય લીધો હતો.
આ પણ વાંચોઃ કિશ્તવાડ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકીઓ પાકિસ્તાની નીકળ્યા

