Site icon Revoi.in

કેદારનાથ ધામના કપાટ શુભ મુહૂર્તે ભક્તો માટે ખોલાયાં

Social Share

નવી દિલ્હી, 22 એપ્રિલ 2026: ઉત્તરાખંડના હિમાલયની ગોદમાં બિરાજમાન બાર જ્યોતિર્લિંગોમાંના એક એવા બાબા કેદારનાથ ધામના કપાટ આજે વહેલી સવારે શુભ મુહૂર્તે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા છે. છ મહિનાના શિયાળુ વિરામ બાદ, પવિત્ર મંત્રોચ્ચાર અને લશ્કરી બેન્ડની મધુર સૂરાવલિઓ વચ્ચે બાબાના દ્વાર ખૂલતા જ સમગ્ર કેદારપુરી ‘જય કેદાર’ અને ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠી હતી.

આ પાવન અવસર માટે કેદારનાથ મંદિરને ૧૦ ક્વિન્ટલથી વધુ દેશી-વિદેશી ફૂલોથી ભવ્ય રીતે સજાવવામાં આવ્યું છે. આજે સવારે મંદિરના મુખ્ય પૂજારીઓ દ્વારા વિધિવત પૂજા-અર્ચના કર્યા બાદ મંદિરના ગર્ભગૃહના દ્વાર ખોલવામાં આવ્યા હતા. પ્રથમ આરતીમાં હજારો શ્રદ્ધાળુઓ સહભાગી થયા હતા. કાતિલ ઠંડી અને બરફની ચાદર વચ્ચે પણ ભક્તોનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળ્યો હતો.

વહીવટીતંત્ર દ્વારા આ વર્ષે શ્રદ્ધાળુઓ માટે ખાસ સુવિધાઓ કરવામાં આવી છે. હેલિકોપ્ટર સેવા અને પગપાળા માર્ગ પર તબીબી સહાય તૈનાત કરવામાં આવી છે. ચારધામ યાત્રાનો પ્રારંભ થતા જ ઉત્તરાખંડમાં પ્રવાસન અને શ્રદ્ધાનો સંગમ જોવા મળી રહ્યો છે. બાબાની ડોલી જ્યારે ઉખીમઠથી કેદારનાથ પહોંચી ત્યારે માર્ગમાં ઠેર-ઠેર ફૂલોની વર્ષા કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ ભારત વિરુદ્ધના દરેક પાપનો હિસાબ થશે: ભારતીય સેના

Exit mobile version