Site icon Revoi.in

કોવિડ રસીકરણની કોઈ આડ અસર નથી, યુવાનોમાં હાર્ટ એટેકની વાત સત્યથી વેગળીઃ ઋષિકેશ પટેલ

Social Share

અમદાવાદઃ રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કોવીડ રસીકરણની આડ અસર થી યુવાનોના હાર્ટ એટેકની વાતને પાયા વિહોણી અને સત્યથી વેગળી ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, રસીકરણની દવાની કોઈ પણ આડ અસર નથી. દેશના નાગરિકોને 250 કરોડથી વધુ રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.

અમદાવાદ શહેર અને જિલ્લામાં કોવિડ જે. એન. 1 વેરિયેન્ટ અંતર્ગત પ્રશ્નના ઉત્તરમાં આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેર અને જિલ્લામાં કોવિડ જે. એન. 1 વેરિયેન્ટ 31/01/2024ની સ્થિતિએ અમદાવાદ શહેરમાં 80 દર્દીઓને  સારવાર આપવામાં આવી હતી. સરકારે સાવચેતીના પગલાં રૂપે લેવાયેલ પગલાં અંગે જણાવ્યું કે દર્દી ના ઘરે તેમજ જરૂર પડે સરકારી હોસ્પિટલોમાં પણ સારવાર આપવામાં આવી છે. આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, આરોગ્યની ટીમોએ ધ હાઉસ ટુ હાઉસ વિઝિટ કરી છે. તેમના કોન્ટેકમાં આવેલ તમામ શંકાસ્પદ દર્દીના ટેસ્ટીંગ કરવામાં આવ્યા છે અને જરૂર જણાયે રૂબરૂમાં દવાઓ આપવામાં આવેલ છે.રાજ્ય સરકાર દ્વારા સતત “ટેસ્ટ-ટ્રેક-ટ્રીટમેન્ટ-વેક્સીનેશન-કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર” ની સ્ટ્રેટેજી અપનાવી કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ રોગને અટકાવવા સંકલિત રોગ સર્વેલન્સ કાર્યક્રમ દ્વારા દર્દીઓને શોધી દવા તેમજ અધતન સારવાર આપવામા આવે છે. રાજ્યમાં કોવિડ-19 ટેસ્ટીંગ માટે 207 લેબોરેટરીને મંજુરી આપવામાં આવીછે. જે પૈકી 111 સરકારી અને 96 ખાનગી લેબોરેટરીને મંજુરી આપવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા કેટલાક મહિનાથી યુવાનોમાં હાર્ટ એટેકનું જોખમ વધ્યું છે, હાઈએટેલથી મોતના બનાવોમાં નોંધપાત્ર વધારો થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.