નૌતપાના નવ દિવસ અસહ્ય ગરમી અને પ્રકોપવાળા હોય છે. આ દિવસો દરમિયાન તીવ્ર સૂર્યપ્રકાશની સાથે રાત્રે પણ ભેજ અને બફારો વધી જાય છે. આવા વાતાવરણમાં સ્વસ્થ રહેવા માટે શરીરને હાઇડ્રેટ રાખવું ખૂબ જ જરૂરી છે. સામાન્ય રીતે લોકો પાણી સિવાયના જે સોફ્ટ ડ્રિંક્સ કે શરબત લે છે, તેમાં ખાંડનું પ્રમાણ વધુ હોય છે જે કેલરી અને વજન વધારે છે. આ આર્ટિકલમાં આપણે ગરમીની એવી ૫ શાનદાર ડ્રિંક્સ વિશે જાણીશું જે ખાંડ વગર બને છે, સ્વાદિષ્ટ છે અને લૂ (Heat Stroke) થી રક્ષણ આપે છે.
સત્તુનું ચટપટું શરબત
ઉનાળાના ગરમ પવનો અને હીટ સ્ટ્રોકના જોખમ વચ્ચે શરીરને ઠંડક આપવાની સાથે જો પ્રોટીન પણ જોઈતું હોય, તો ચણાના સત્તુનું શરબત શ્રેષ્ઠ વિકલ્પ છે. ઠંડા પાણીમાં સત્તુનો લોટ ઓગાળી લો. તેમાં સંચળ (કાળું મીઠું), મરી પાવડર, ફુદીનાના પાન, ઝીણા સમારેલા લીલા મરચાં, લીલા ધાણા અને ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો. છેલ્લે લીંબુનો રસ ઉમેરીને મિક્સ કરો. તૈયાર છે તમારું ટેસ્ટી અને હેલ્ધી સત્તુ શરબત.
ફુદીના મસાલા છાસ
ઉનાળામાં છાસ એ ઉર્જા આપવા માટેનું શ્રેષ્ઠ પીણું છે, જે પ્રોટીનની સાથે વિટામિન-ડી અને કેલ્શિયમથી પણ ભરપૂર છે. નૌતપા દરમિયાન ખાંડ વગરની આ બેસ્ટ રિફ્રેશિંગ ડ્રિંક છે. મોળી કે મીડીયમ ખાટી છાસમાં ફુદીનાના પાનની પેસ્ટ ઉમેરો. તેમાં સ્વાદ મુજબ લીલા મરચાની પેસ્ટ અને સંચળ ઉમેરો. જીરા પાવડર પણ ઉમેરી શકાય. બસ, તૈયાર છે ઠંડી-ઠંડી રિફ્રેશિંગ પુદીના મસાલા છાસ.
કાંજી
ઉનાળામાં કાંજી શરીરને હાઇડ્રેટ રાખવાની સાથે પાચનતંત્રને સુધારવાનું અદભુત કામ કરે છે, કારણ કે તે પ્રોબાયોટિક્સથી ભરપૂર હોય છે. કાચની બરણી કે જારમાં પાણી લો. તેમાં વાટેલી રાઈ (સરસવ), ગાજર અને બીટ જેવા શાકભાજીના ટુકડા ઉમેરીને 1 થી 2 દિવસ માટે આથો આવવા (ફર્મેન્ટ થવા) દો. ત્યારબાદ તેને ગાળીને બરફ નાખીને પીઓ.
રાગી કુલર
નૌતપાના ગરમ દિવસોમાં રાગી કુલર બનાવીને પીવું એ શરીર માટે ખૂબ ફાયદાકારક છે. આ એક કેલ્શિયમ રિચ ડ્રિંક છે. રાગીના લોટને પાણીમાં નાખીને પાતળું મિશ્રણ બનાવો. તેને એક કપ ઉકળતા પાણીમાં ઉમેરીને સતત હલાવતા રહીને પકાવો જ્યાં સુધી તે ઘટ્ટ અને ચમકદાર ન થઈ જાય. હવે આ મિશ્રણને માટીના વાસણમાં પાણીમાં ડુબાડીને મૂકી રાખો. સવાર સુધીમાં તે ફર્મેન્ટ થઈ જશે, ત્યારબાદ તેમાં વલોવેલું દહીં અથવા છાસ ઉમેરો. સ્વાદ મુજબ મીઠું, શેકેલું જીરું પાવડર, લીલા મરચાં અને ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીને સર્વ કરો.
નેચરલ નાળિયેર પાણી
જો તમને ઉનાળામાં રસોડામાં બહુ ઝંઝટ કરવી ગમતી ન હોય અને આળસ આવતી હોય, તો બસ તમારે નિયમિત નાળિયેર પાણી પી લેવું જોઈએ. આ એક ઉત્તમ કુદરતી પીણું છે જે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સની કમીને તરત જ પૂરી કરે છે. તમે નાળિયેર પાણીમાં થોડા પલાળેલા ચિયા સીડ્સ અથવા સબજાના બીજ પણ ઉમેરી શકો છો, જે પેટને બમણી ઠંડક આપશે.

