ગાંધીનગર, 27 મે 2026 – કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ આવતીકાલ ગુરુવારથી બે દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન પક્ષના મીડિયા વિભાગ દ્વારા કેન્દ્રીય મંત્રીના ગાંધીનગર લોકસભા મતવિસ્તારનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.
સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ, ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહ આગામી 28-29 મે દરમ્યાન ગુજરાત પ્રવાસે પધારશે. શ્રી શાહ તા. 28ના રોજ સંસદીય ક્ષેત્રમાં અનેક વિકાસ પ્રકલ્પોની ભેટ ધરશે. જેમાં આનંદમ પરિવાર સી.એસ.આર ફંડ દ્વારા વડસર ખાતે નવનિર્મિત જેડવા તળાવ લોકાર્પણ, વડસર, જલુંદ અને સરઢવ ખાતે ટોયોટા કીલોસ્કર મોટર્સ લિમિટેડ સી.એસ.આર. ફંડ હેઠળ નવનિર્મિત વાંચનાલયોનું લોકાર્પણ, અરવિંદ ફાઉન્ડેશન દ્વારા ખાત્રજ ખાતે તળાવ બ્યુટિફિકેશનનું ખાતમુહૂર્ત તેમજ ગ્રામ પંચાયત કચેરીનું લોકાર્પણ સામેલ છે.
આ પણ વાંચોઃ ભારતના વિદેશ મંત્રાલયે ચીન-પાકિસ્તાનને ઝાટકી નાખ્યા, જાણો શું કહ્યું?
આ આ ઉપરાંત મોટી ભોયણ ખાતે પે સેન્ટર પ્રાથમિક શાળાનું લોકાર્પણ તેમજ સોનીપુર ખાતે ગામ તળાવ તેમજ કલોલ અને ગાંધીનગર ઉત્તર વિધાનસભાના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ ખાતમુહૂર્ત પણ શ્રી શાહના વરદ હસ્તે કરવામાં આવશે. સોનીપુર ખાતે જ ભાજપાના સિનિયર કાર્યકર્તા અને પૂર્વ સરપંચ શ્રી ગાંડાજી ઠાકોરના નિવાસસ્થાને શ્રી શાહ બપોરનું ભોજન લેશે.
બાદમાં પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે શ્રી શાહની ઉપસ્થિતિમાં પ્રદેશ ભાજપાના મુખ્ય પદાધિકારી બેઠક યોજાશે અને ત્યારબાદ ચાંદખેડા ખાતે સીબીએસસી પ્રાદેશિક કચેરીનું અને સોલામાં ઉમિયાધામ કેમ્પસ ખાતે નવનિર્મિત હોસ્ટેલ બિલ્ડીંગનું લોકાર્પણ શ્રી શાહના વરદ હસ્તે કરવામાં આવશે. જ્યારે સાંજે એએમસી દ્વારા નવા વાડજ ખાતે “ભારત માતા” નવનિર્મિત સ્કલ્પચરનું લોકાર્પણ અને બાદમાં સર્કિટ હાઉસ અમદાવાદ ખાતે કોમનવેલ્થ તેમજ વિશ્વ પોલીસ અને ફાયર ગેમ્સની તૈયારીઓની સમીક્ષા બેઠક પણ શ્રી શાહની અધ્યક્ષતામાં યોજાશે. 28 મે ના રોજ મોડી સાંજે આ કાર્યક્રમમાં પૂર્ણ થયા બાદ શ્રી શાહ કચ્છમાં ભુજ ખાતે જવા રવાના થશે.

