Site icon Revoi.in

પશ્ચિમ બંગાળ: સુવેન્દુ અધિકારીના PAની ગોળી મારી હત્યા કરાતા તણાવ, TMC ઉપર આરોપ

Social Share

નવી દિલ્હી, 7 મે 2026: પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના ઉત્તર 24 પરગણા જિલ્લાના મધ્યગ્રામ (બારાસત વિસ્તાર) માંથી એક સનસનીખેજ ઘટના સામે આવી છે. પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને ભાજપના દિગ્ગજ નેતા સુવેન્દુ અધિકારીના અંગત સચિવ (PA) ચંદ્રનાથ રથની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે તણાવ અને ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી મુજબ, મધ્યગ્રામ વિસ્તારમાં અજાણ્યા હુમલાખોરોએ ચંદ્રનાથ રથ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. ગોળી વાગવાને કારણે તેઓ લોહીલુહાણ હાલતમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. સ્થાનિક લોકોની મદદથી તેમને તાત્કાલિક નજીકની ડાયવર્સિટી નર્સિંગ હોમમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલા જ રસ્તામાં તેમનું કરૂણ મોત નીપજ્યું હતું. ભાજપ દ્વારા આ હત્યાનો સીધો આરોપ TMC કાર્યકર્તાઓ પર લગાવવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ હાલ વિસ્તારમાં લાગેલા CCTV ફૂટેજ તપાસી રહી છે જેથી હુમલાખોરોની ઓળખ કરી શકાય.

નોંધનીય છે કે 4 મેના રોજ બંગાળ ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદથી જ રાજ્યના વિવિધ ભાગોમાં હિંસાની અનેક ઘટનાઓ બની રહી છે. આ સ્થિતિ વચ્ચે સુવેન્દુ અધિકારીએ લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, હિંસામાં સામેલ કોઈપણ અસામાજિક તત્વોને છોડવામાં આવશે નહીં. જો કોઈ ભાજપના નેતા કે કાર્યકર્તા પણ હિંસા ભડકાવતા જણાશે, તો તેમની સામે પણ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. પાર્ટીના જોડાણ કે ભેદભાવ વગર તમામ ગુનેગારો સામે પગલાં લેવાશે.

આ પણ વાંચોઃ ‘ઓપરેશન સિંદૂર’ની પ્રથમ વર્ષગાંઠ: ભારતીય સેનાએ વીડિયો શેર કર્યો

Exit mobile version