Site icon Revoi.in

ફળો કેમિકલથી પાક્યાં છે કેમ તેની તપાસ હવે સ્થળ પર ટેસ્ટ પેપરથી થશે

How do you know if fruits chemically ripened or naturally ripened

How do you know if fruits chemically ripened or naturally ripened

Social Share

નવી દિલ્હી, 17 એપ્રિલ 2026: ફળોના શોખીન લોકો માટે એક મહત્વના સમાચાર છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ સ્પષ્ટ કર્યું છે કે ફળોને કૃત્રિમ રીતે અને ઝડપથી પકવવા માટે જોખમી કેમિકલનો ઉપયોગ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. ગુરુવારે જારી કરાયેલા એક કડક આદેશમાં FSSAI એ જણાવ્યું છે કે કેલ્શિયમ કાર્બાઈડ જેવા કેમિકલનો ઉપયોગ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. તેમજ અધિકારીઓને સમગ્ર દેશમાં આ માલે માર્કેટ યાર્ડ, ગોડાઉનો અને મોટા વેપારીઓને ત્યાં તપાસ માટે નિર્દેશ કરવામાં આવ્યાં છે. એટલું જ નહીં ફળ કેમિકલથી પાક્યાં છે કે કેમ તેની તપાસ માટે ટેસ્ટ પેપરનો ઉપયોગ કરવામાં આવશે. જેથી સ્થળ પર જ ખબર પડી જશે કે ફળ કેવી રીતે પાક્યાં છે.

FSSAI ના જણાવ્યા અનુસાર, કેરી, કેળા અને પપૈયા જેવા ફળોને કેલ્શિયમ કાર્બાઈડથી પકવવા સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરે છે. આવા ફળો ખાવાથી ઉલટી, ચામડીની સમસ્યાઓ અને ખોરાક ગળવામાં તકલીફ જેવી બીમારીઓ થઈ શકે છે. ઓથોરિટીના ધ્યાન પર આવ્યું છે કે કેટલાક વેપારીઓ ફળોને ‘એથિફોન’ જેવા કેમિકલના દ્રાવણમાં ડુબાડીને પકવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેના પર પણ સખત મનાઈ ફરમાવવામાં આવી છે.

નિયમો મુજબ, ફળોને પકવવા માટે માત્ર સુરક્ષિત ગણાતા ‘એથિલિન ગેસ’નો ઉપયોગ જ કરી શકાશે, પરંતુ તે પણ નક્કી કરેલી મર્યાદા અને નિયમોને આધીન હોવો જોઈએ. આ સિવાયની તમામ પદ્ધતિઓ ગેરકાયદેસર ગણાશે. હવે તમામ રાજ્યોના ફૂડ સેફ્ટી ઓફિસરોને આદેશ આપવામાં આવ્યા છે કે તેઓ પોતપોતાના વિસ્તારમાં આવેલી મંડીઓ (માર્કેટ યાર્ડ), ગોદામો અને જથ્થાબંધ બજારોમાં કડક સર્ચ ઓપરેશન હાથ ધરે. જ્યાં પણ શંકા જણાય ત્યાં તાત્કાલિક દરોડા પાડવા અને જો કોઈ પાસે કેલ્શિયમ કાર્બાઈડ કે અન્ય પ્રતિબંધિત કેમિકલ મળી આવશે, તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ફળોને કૃત્રિમ રીતે પકવવામાં આવ્યા છે કે નહીં તેની ત્વરિત તપાસ માટે હવે ખાસ પ્રકારના ‘ટેસ્ટ પેપર’નો ઉપયોગ કરવામાં આવશે. આનાથી સ્થળ પર જ ખબર પડી જશે કે ફળ કુદરતી રીતે પાક્યું છે કે કેમિકલથી. આ નવી વ્યવસ્થાને કારણે બજારમાં વેચાતા ફળો પર હવે તંત્રની બાજ નજર રહેશે, જેથી લોકોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડાં અટકાવી શકાય.

આ પણ વાંચોઃ હિમાચલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય: ઉંચા પહાડો પર હિમવર્ષા, 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

Exit mobile version