Site icon Revoi.in

IIT દિક્ષાંત સમારંભમાં પીએમ મોદીએ કેમ બાબા બાગેશ્વરને યાદ કર્યા? Video

Why did PM Modi remember Baba Bageshwar at IIT convocation ceremony

Why did PM Modi remember Baba Bageshwar at IIT convocation ceremony

Social Share

નવી દિલ્હી, 8 ઓગસ્ટ, 2026 – ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી- IIT દિલ્હીના 57મા પદવીદાન સમારંભમાં ભાગ લેતા આજે શનિવારે વડાપ્રધાન મોદીએ તેજસ્વી વિદ્યાર્થીઓને સંસ્થાનના સૌથી પ્રતિષ્ઠિત સન્માન આપ્યા હતા, જેમાં પ્રેસિડેન્ટ ગોલ્ડ મેડલ, ડિરેક્ટર ગોલ્ડ મેડલ, શંકર દયાલ શર્મા ગોલ્ડ મેડલ અને પર્ફેક્ટ ટેન ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઈઆઈટી (IIT) દિલ્હીથી ગ્રેજ્યુએટ થનારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. આ દરમિયાન તેમનો રમુજી અંદાજ જોવા મળ્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને કહ્યું, “તમારા લોકોના મનના કોઈ ખૂણામાં કંઈક બીજું ચાલી રહ્યું હશે. હું તો બાબા બાગેશ્વર નથી, પણ કંઈક તો ચાલતું જ હશે.” વડાપ્રધાને વિદ્યાર્થીઓને કહ્યું કે તેઓ પાછળ વળીને જુએ અને પોતાના શિક્ષકો તથા સપોર્ટ સ્ટાફનો આભાર માને કારણ કે તેઓ જીવનમાં એક નવો અધ્યાય શરૂ કરવા જઈ રહ્યા છે.

વડાપ્રધાને ત્યાં ઉપસ્થિત લોકોને સંબોધતા કહ્યું, “ઘણા વિદ્યાર્થીઓને તેમની સફળતા માટે મેડલ મળ્યા છે. હું આપ સૌને દિલથી અભિનંદન આપું છું. જોકે, જો તેમાં વધુ છોકરીઓ હોત તો વધુ સારું હોત. સોરી. માત્ર એક કે બે કેમ? વધુ હોવી જોઈતી હતી. જેવી રીતે આજે તમારા પરિવાર ગૌરવ અનુભવી રહ્યા છે, તેવી જ રીતે મને પણ આપ સૌ પર ગર્વ છે.” આઈઆઈટી દિલ્હીથી દુનિયાનો સામનો કરવા બહાર નીકળતી વખતે વિદ્યાર્થીઓની ચિંતાઓ પર ધ્યાન દોરતા વડાપ્રધાન મોદીએ તેમને આ ક્ષણને પૂરેપૂરી જીવી લેવા કહ્યું હતું. તેમણે સૂચન કર્યું કે તેઓ પોતાના આગળના સફરમાં શિક્ષકો અને કેમ્પસ લાઈફને ન ભૂલે.

તમે તમારી મુસાફરીથી સંતોષ અનુભવશોઃ પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું, “આજે આપ સૌ અને તમામ વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં હાજર છો. પરંતુ મનના કોઈ ખૂણામાં કંઈક બીજું ચાલી રહ્યું હશે. દરેક વિદ્યાર્થીના મનમાં આવનારા કાલનું પોતાનું એક ચિત્ર હશે. ઘણા વિદ્યાર્થીઓ પોતાના પહેલા પગારની રાહ જોઈ રહ્યા હશે, કોઈ નવા શહેરમાં નવી શરૂઆતની તૈયારી કરી રહ્યું હશે, ઘણા સાથીઓ પોતાના નવા સ્ટાર્ટઅપનું સ્વપ્ન જોઈ રહ્યા હશે, તો કોઈએ આગામી સ્પર્ધાત્મક પરીક્ષાનો ગોલ સેટ કર્યો હશે. દરેકનો રસ્તો અલગ છે, દરેકનું સ્વપ્ન અલગ છે. પરંતુ આ બધા છતાં એક અહેસાસ છે જે આપ સૌના મનમાં એકસરખો હશે.” તેમણે ઉમેર્યું, “ઓરિએન્ટેશનથી લઈને કોન્વોકેશન સુધી, તમે તમારી મુસાફરીથી સંતોષ અનુભવશો, પરંતુ એક નવા ચેપ્ટરની શરૂઆત માટે ઉત્સાહિત પણ હશો. તેથી હું કહું છું, આ ક્ષણને પૂરેપૂરી જીવી લો.”

જતાં પહેલાં દરેક સભ્યને ચોક્કસ મળોઃ પીએમ

વડાપ્રધાને કહ્યું, “ભવિષ્યમાં તમારા પર વધુ જવાબદારીઓ હશે ત્યારે આ યાદો તમને ભૂતકાળમાં લઈ જશે. આ ભાવુક ક્ષણોમાં જ્યારે પણ જિંદગી તમને પાછળ વળીને જોવાની તક આપશે ત્યારે તમે તમારી દરેક સફળતા પહેલાં આ કેમ્પસ લાઈફને યાદ કરશો. એ મિત્રો, શિક્ષકો, મેન્ટર અને સપોર્ટ સ્ટાફ જે તમારો પરિવાર બની ગયા અને તમને યોગ્ય આકાર આપવાની જવાબદારી લીધી, સાથે જ આ જગ્યા જે ધીમે ધીમે તમારું ઘર બની ગઈ, તેમનો આભાર માનશો. તેમને એક અસ્કયામતની જેમ સાચવીને રાખો, તેમને ન ભૂલો. જતાં પહેલાં, અહીંના દરેક સભ્યને ચોક્કસ મળો.”

‘પરમ પ્રજ્ઞા’ સુપરકમ્પ્યૂટરનું ઉદ્ઘાટન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 57મા પદવીદાન સમારંભમાં મુખ્ય અતિથિ હતા. તેમણે આઈઆઈટી દિલ્હીના સોનીપત કેમ્પસમાં તૈયાર કરાયેલી એઆઈ (AI) સંચાલિત હાઈ-પર્ફોર્મન્સ સુપરકમ્પ્યૂટિંગ ફેસિલિટી ‘પરમ પ્રજ્ઞા’ નું પણ ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર અત્યાધુનિક પરમ પ્રજ્ઞા સુવિધાથી એઆઈ, ડેટા સાયન્સ, એડવાન્સ્ડ કમ્પ્યૂટિંગ અને ઇન્ટરડિસિપ્લિનરી રિસર્ચમાં સંસ્થાનની ક્ષમતાઓમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે.

Exit mobile version