કોલકાતા, 20 ડિસેમ્બર, 2025ઃ first “Make in India” metro train અમદાવાદને તેની મળી પ્રથમ “મેક ઇન ઇન્ડિયા” મેટ્રો ટ્રેન મળી છે. કોલકત્તા નજીક ટિટાગઢ રેલ સિસ્ટમ્સના આધુનિક પ્લાન્ટની મુલાકાત લઈને મુખ્યમંત્રીએ અમદાવાદ મેટ્રો રેલ માટેના કોચીસનું લોન્ચિંગ કર્યું હતું.
ટિટાગઢ રેલ સિસ્ટમ્સ લિમિટેડ દ્વારા તેના ફેસેલિટી પ્લાન્ટમાં આ ટ્રેન મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સ્વદેશી રીતે બનાવવામાં આવી રહી છે. આધુનિક મેટ્રો અને મુસાફર કોચના ઉત્પાદન માટે સક્ષમ આ પ્લાન્ટ અદ્યતન અને આધુનિક તકનીક તથા સાધનસામગ્રી સાથે સ્થાપિત કરવામાં આવેલો છે. ટિટાગઢ પ્લાન્ટમાં દેશના અનેક રાજ્યોના લોકો કાર્યરત છે તે પણ એક ભારત – શ્રેષ્ઠ ભારતનો વડાપ્રધાનનો મંત્ર ચરિતાર્થ કરે છે તે માટે પણ મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે અભિનંદન પાઠવ્યા હતા.
અમદાવાદમાં મેટ્રો રેલ નેટવર્ક
અમદાવાદને મળી રહેલી આ મેટ્રો ટ્રેન શહેરમાં મેટ્રો રેલ વ્યવસ્થાની વધતી માંગ અને લોકપ્રિયતાને પહોંચી વળવા સાથે પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ્સને સુગમ બનાવશે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (GMRCL)એ કોલકાતા સ્થિત ટિટાગઢ રેલ સિસ્ટમ્સ લિમિટેડને 10 ટ્રેનોનો ઓર્ડર આપ્યો છે. આ ટ્રેન ફેઝ-2ના 21 કિ.મી.નું કાર્ય પૂર્ણ થતાં અને બાકીનો ભાગ ટૂંક સમયમાં કાર્યરત થવાથી ઊભી થનારી વધારાની ટ્રેનોની જરૂરિયાતને પહોંચી વળશે.
અમદાવાદ મેટ્રો અત્યારે દરરોજ 1.6 લાખથી વધુ મુસાફરોને સેવા આપે છે અને તેમાં વાર્ષિક 30–40%ની વૃદ્ધિ થઈ રહી છે. આવનારા દિવસોમાં મેટ્રો રેલ સેવાનો આ દાયરો વધારીને સુરતમાં પણ મેટ્રો કાર્યરત થવાની છે એમ ભૂપેન્દ્ર પટેલ ઉમેર્યું હતું.
શું છે મેક ઈન ઇન્ડિયા મેટ્રો ટ્રેનની વિશેષતા?
ઉચ્ચ ગુણવત્તાના સ્ટેનલેસ સ્ટીલથી બનેલી આ મેક ઈન ઇન્ડિયા ટ્રેનોમાં રંગો અને ડિઝાઇનનો જે વિશેષ સ્પર્શ આપવામાં આવ્યો છે તે અમદાવાદની સંસ્કૃતિ અને પરંપરાને પ્રતિબિંબિત કરે છે.
આ પ્રથમ મેક ઈન ઇન્ડિયા મેટ્રો ટ્રેન અંતિમ પરીક્ષણો પછી તથા સંબંધિત સત્તાધિકારીઓ પાસેથી પ્રમાણપત્ર મળ્યા બાદ થોડા જ દિવસોમાં અમદાવાદ પહોંચાડવામાં આવશે. ત્યારબાદ મુસાફરોની સેવામાં મૂકવામાં આવશે. એટલું જ નહિ, અમદાવાદ માટે બાકી રહેલી 9 ટ્રેનો પણ ટિટાગઢ દ્વારા આગામી 5–6 મહિનામાં તબક્કાવાર પૂરી પાડવામાં આવશે. વૈશ્વિક સ્તરે લાગુ પડતા તાજેતરના આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે સુસસંગત આ મેક ઈન ઇન્ડિયા ટ્રેન ગુજરાત માટે ગૌરવરૂપ બનશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મેટ્રો ટ્રેનના કોચિસના વિશેષ લક્ષણોની તલસ્પર્શી જાણકારી કોચ નિરીક્ષણ અને પ્લાન્ટના વરિષ્ઠ ઇજનેરો સાથેની ચર્ચા દ્વારા મેળવી હતી. આ મેટ્રો ટ્રેન શ્રેષ્ઠ શ્રેણીની ફાયર સેફટી સહિત અન્ય સુરક્ષા સુવિધાઓ તથા ગ્રેડ ઓફ ઑટોમેશન 4 (GOA4) હેઠળ સંપૂર્ણ ઓટોમેટેડ, ડ્રાઇવરલેસ ટ્રેન તરીકે કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે તેમ તેમને ટિટાગઢ રેલ સિસ્ટમ્સના ઈજનેરોએ જણાવ્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢીયા, મુખ્યમંત્રીના સલાહકાર અને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર એસ. એસ. રાઠૌર, ટિટાગઢ રેલ સિસ્ટમ્સના મેનેજિંગ ડિરેક્ટર ઉમેશ ચૌધરી તેમજ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન અને ટિટાગઢ રેલ સિસ્ટમ્સના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ટિટાગઢ રેલ સિસ્ટમ્સ નેક્સ્ટ જનરેશન વંદે ભારત સ્લીપર ટ્રેનો અને પુણે, બેંગલુરુ, મુંબઈ, સુરત તથા અમદાવાદ જેવા અનેક શહેરો માટે મેટ્રો ટ્રેનોના ઉત્પાદન સાથે સંકળાયેલી છે. ભારતના મહત્ત્વાકાંક્ષી હાઇ-સ્પીડ કાર્યક્રમ માટે ભવિષ્યમાં ઉચ્ચ ગતિની ટ્રેનો બનાવવાની ક્ષમતા વિકસાવવા માટે પણ સુવિધાઓનું વિકાસ કાર્ય આ પ્લાન્ટમાં હાથ ધરવામાં આવ્યું છે. એટલું જ નહિ, કંપની ભારતની સૌથી મોટી વેગન ઉત્પાદક છે તેમજ નૌસેના અને અન્ય વિશેષ ઉપયોગો માટે જહાજોનું ઉત્પાદન પણ કરે છે.

