Site icon Revoi.in

અકાળે સફેદ થતા વાળથી છો પરેશાન? આયુર્વેદના આ 5 સુપરફૂડ્સ’વાળને ફરી બનાવશે કાળા અને મજબૂત

Social Share

આજના સમયમાં હોર્મોનલ અસંતુલન અને પ્રદૂષણને કારણે યુવાનોમાં ‘પ્રી-મેચ્યોર ગ્રે હેર’ એટલે કે નાની ઉંમરે વાળ સફેદ થવાની સમસ્યા વધી રહી છે. આયુર્વેદ મુજબ, મોંઘા કેમિકલવાળા શેમ્પૂ કરતા આહારમાં ફેરફાર કરવાથી વધુ ફાયદો થાય છે. જાણો એવી પાંચ વસ્તુઓ વિશે જે તમારા વાળને કુદરતી રીતે પોષણ આપશે.

આમળા: વિટામિન-સીનો ખજાનો

આમળામાં ભરપૂર માત્રામાં વિટામિન-સી હોય છે, જે વાળ સફેદ થવાની પ્રક્રિયાને ધીમી કરે છે. તમે તાજા આમળા ખાઈ શકો છો અથવા આમળાના પાવડરને પાણીમાં ભેળવીને ખાલી પેટે પી શકો છો. આ સિવાય વાળમાં આમળાનું તેલ કે પેસ્ટ લગાવવાથી પણ ફાયદો થાય છે.

કાળા તલ: કુદરતી રંગ જાળવવામાં મદદરૂપ

કાળા તલ મેલાનોસાઇટની પ્રવૃત્તિને વેગ આપે છે, જે વાળના કુદરતી કાળા રંગને જાળવી રાખે છે. જમ્યા પછી એક ચમચી કાળા તલ ચાવીને ખાઓ અથવા લોટમાં ભેળવીને તેની રોટલી બનાવીને ખાઈ શકાય છે. તેનાથી સ્કેલ્પમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે.

કાળી દ્રાક્ષ: આયર્નથી ભરપૂર

કાળી દ્રાક્ષમાં આયર્ન અને વિટામિન-સી પુષ્કળ પ્રમાણમાં હોય છે, જે વાળના પિગ્મેન્ટેશન અને ગ્રોથ માટે જરૂરી છે. રાત્રે કાળી દ્રાક્ષને પાણીમાં પલાળી દો અને સવારે ખાલી પેટે તેના પાણીનું સેવન કરો તેમજ દ્રાક્ષને ચાવીને ખાઓ.

મીઠો લીમડો (કરી પત્તા): વિટામિન-બી12નો સ્ત્રોત

લીમડાના પાનમાં વિટામિન એ, બી, સી અને બી12 સાથે આયર્ન અને કેલ્શિયમ પણ હોય છે. તે વાળ ખરતા અટકાવે છે. સવારે ખાલી પેટે લીમડાના પાન ચાવો અથવા તેના પાન ઉકાળીને તેનું પાણી પીવો. બાળકો માટે આમળા અને લીમડાની ચટણી બનાવી શકાય છે.

ગાયનું ઘી : ઊંડાણપૂર્વકનું પોષણ

આયુર્વેદ અનુસાર, શુદ્ધ ગાયનું ઘી વાળને મૂળમાંથી પોષણ આપે છે. તેનાથી માત્ર વાળ જ નહીં, પણ પાચન અને ઊંઘમાં પણ સુધારો થાય છે. આહારમાં ઘીનો સમાવેશ કરો અથવા નિષ્ણાતની સલાહ મુજબ વાળની સંભાળમાં તેનો ઉપયોગ કરો. તે વાળની કુદરતી ચમક જાળવી રાખવામાં રામબાણ ઈલાજ છે.

જો તમે આ દેશી નુસખાઓને તમારી દિનચર્યાનો ભાગ બનાવશો, તો થોડા જ સમયમાં વાળની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો જોવા મળશે.

Exit mobile version