નવી દિલ્હી, 24 એપ્રિલ, 2026 – આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ પડ્યું છે. પક્ષના 10માંથી સાત સાંસદોએ એક સાથે AAP સાથે છેડો ફાડી દીધો છે અને તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. આ સાંસદોએ આજે બપોરે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદ યોજીને પક્ષ છોડવાની અને ભાજપમાં વિલય કરવાની જાહેરાત કરી છે.
રાઘવ ચઢ્ઢાએ આમ આદમી પાર્ટીના બે તૃતીયાંશ સાંસદો સાથે ભાજપમાં સામેલ થવાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે તેઓ આમ આદમી પાર્ટી છોડી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે તેમની સાથે AAP ના કેટલાક અન્ય નેતાઓ પણ પાર્ટી સાથે પોતાનો નાતો તોડી રહ્યા છે. રાઘવ ચઢ્ઢાની સાથે AAP ના કેટલાક અન્ય સાંસદો પણ ભાજપમાં જઈ રહ્યા છે, જેમાં અશોક મિત્તલ અને સંદીપ પાઠકનો પણ સમાવેશ થાય છે.
AAP સાંસદ રાઘવ ચઢ્ઢાએ કહ્યું, “અમે એવો નિર્ણય લીધો છે કે અમે, એટલે કે રાજ્યસભામાં AAP ના બે તૃતીયાંશ સભ્યો, ભારતના બંધારણની જોગવાઈઓનો ઉપયોગ કરીને પોતાને ભાજપમાં ભેળવી દઈશું.”
રાઘવ ચઢ્ઢાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, બે તૃતીયાંશથી વધુ સાંસદો આ અભિયાનમાં અમારી સાથે છે, તેમણે હસ્તાક્ષર પણ કરી દીધા છે અને આજે સવારે રાજ્યસભાના અધ્યક્ષ (ચેરમેન) ને પત્ર પણ સુપરત કરી દીધો છે.
કયા કયા સાંસદો ભાજપમાં જશે તેવો દાવો કર્યો?
રાઘવ ચઢ્ઢાએ જે સાંસદોના ભાજપમાં જવાની વાત કરી છે તેમાં ઘણા મોટા ચહેરાઓ સામેલ છે:
સ્વાતિ માલીવાલ
હરભજન સિંહ
રાઘવ ચઢ્ઢા
સંદીપ પાઠક
અશોક મિત્તલ
વિક્રમજીત સિંહ સાહની
રાજેન્દ્ર ગુપ્તા
AAP પર નિશાન સાધ્યું
આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા રાઘવ ચઢ્ઢાએ કહ્યું, “જે AAP ને મેં મારા લોહી-પરસેવાથી સીંચી અને મારી યુવાનીના 15 વર્ષ આપ્યા, તે હવે પોતાના સિદ્ધાંતો, મૂલ્યો અને મૂળ નૈતિકતાથી ભટકી ગઈ છે. હવે આ પાર્ટી દેશના હિતમાં નહીં, પરંતુ પોતાના અંગત ફાયદા માટે કામ કરે છે. છેલ્લા કેટલાક વર્ષોથી મને એવું લાગી રહ્યું હતું કે હું ખોટી પાર્ટીમાં સાચો માણસ છું. તેથી, આજે અમે જાહેરાત કરીએ છીએ કે હું મારી જાતને AAP થી અલગ કરી રહ્યો છું અને જનતાની નજીક જઈ રહ્યો છું.”

