Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીની આહટ, ગૃહ મંત્રાલયે યાસિન મલિકના જૂથ સહીત ઘણાં આતંકી સંગઠનો પર લગાવ્યો પ્રતિબંધ

Social Share

નવી દિલ્હી: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે શનિવારે યાસિન મલિકના આતંકી સંગઠન જેકેએલએફ પર લગાવવામાં આવેલા પ્રતિબંધને આગામી પાંચ વર્ષ માટે લંબાવી દીધો છે. સરકારે તેને ગેરકાયદેસર એસોસિએશન જાહેર કર્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યુ છે કે જેકેએલએફનું (યાસિન મલિક જૂથ) જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ અને અલગતાવાદને પ્રોત્સાહિત કરનારી ગતિવિધિઓમાં સામેલ છે.

યાસિન મલિક સિવાય ગૃહ મંત્રાલયે જેકેપીએલ-મુખ્તાર અહમદ વાજા, જેકેપીએલ- બશીર અહમદ તોતા, જેકેપીએલ-ગુલામ મોહમ્મદ ખાન અને જેકેપીએલ-અજીજ શેખ જૂથો પર પણ પ્રતિબંધ લાદયો છે. અમિત શાહે કહ્યુ છે કે જો કોઈ દેશની સુરક્ષા, સાર્વભૌમત્વ અને અખંડિતતાને પડકારે છે, તો તેને કઠોર કાયદાકીય પરિણામો ભોગવવા પડશે. તેમણે કહ્યુ છે કે મોદી સરકારે જમ્મુ-કાશ્મીર પીપલ્સ ફ્રીડમ લીગને પણ ભાગલાવાદને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબંધિત જૂથ જાહેર કર્યું છે.

ગૃહ મંત્રાલયની તાબડતોબ કાર્યવાહી એવા દિવસે થઈ છે, જ્યારે ભારતનું ચૂંટણી પંચ આગામી લોકસભા ચૂંટણીની તારીખોની ઘોષણા કરવા જઈ રહ્યું છે. આજે 16 માર્ચે લોકસભા અને કેટલાક રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખોની ઘોષણા કરવામાં આવશે. તેવામાં અટકળો લગાવાય રહી છે કે જમ્મુ-કાશ્મીરમાં પણ વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમ ઘોષિત કરાય તેવી શક્યતા છે.

આના પહેલા 12 માર્ચે સરકારે જમ્મુ-કાશ્મીર નેશનલ ફ્રન્ટને બિનકાયદેસરનું જૂથ ગણાવીને તેના પર પ્રતિબંધ લગાવ્યો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મંગળવારે સોશયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં કહ્યુ હતુ કે મોદી સરકારે આજે જમ્મુ-કાશ્મીર નેશનલ ફ્રન્ટને બિનકાયદેસર એસોસિએશન જાહેર કર્યું છે. સંગઠનને જમ્મુ-કાશ્મીરને બારતથી અલગ તરવા અને આતંકવાદને સમર્થન આપવા, રાષ્ટ્રના સાર્વભૌમત્વ, સુરક્ષા અને અખંડિતતાને પડકારવા માટે ભાગલાવાદી ગતિવિધિઓને અંજામ આપતું હોવાનું સામે આવ્યું છે. તેમણે કહ્યુ છે કે અમે ભારતના લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આતંકવાદી શક્તિઓને ઉખાડી ફેંકવા માટે પ્રતિબદ્ધ છીએ.