તેહરાન, 8 એપ્રિલ 2026: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન વિરુદ્ધ શરૂ કરવામાં આવેલા સૈન્ય અભિયાન ‘ઓપરેશન એપિક ફ્યુરી’માં બે સપ્તાહના યુદ્ધવિરામની જાહેરાત બાદ પણ સ્થિતિ તણાવપૂર્ણ જણાય રહી છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસે એક નવી એડવાઈઝરી જાહેર કરી છે, જેમાં ઈરાનમાં વસતા તમામ ભારતીય નાગરિકોને વહેલી તકે દેશ છોડવા માટે ભારપૂર્વક અપીલ કરવામાં આવી છે.
દૂતાવાસે સ્પષ્ટ કર્યું છે કે આ એડવાઈઝરી 7 એપ્રિલના રોજ જાહેર કરાયેલ નોટિસના અનુસંધાનમાં છે. ઈરાનમાં હાજર ભારતીયોને દૂતાવાસ સાથે સતત સંકલન સાધવા અને દૂતાવાસ દ્વારા સૂચવવામાં આવેલા સુરક્ષિત રસ્તાઓનો જ ઉપયોગ કરીને સ્વદેશ પરત ફરવા જણાવાયું છે. એડવાઈઝરીમાં ખાસ ચેતવણી આપવામાં આવી છે કે કોઈ પણ ભારતીય નાગરિક દૂતાવાસની સલાહ વગર કોઈપણ આંતરરાષ્ટ્રીય સરહદ તરફ જવાનો પ્રયાસ ન કરે. દૂતાવાસે જણાવ્યું છે કે, “સ્વતંત્ર રીતે બોર્ડર સુધી પહોંચવાનો પ્રયાસ અત્યંત જોખમી સાબિત થઈ શકે છે, તેથી નાગરિકોએ તેનાથી બચવું જોઈએ.” ભારતીય નાગરિકોની મદદ અને સુરક્ષિત નિકાસ માટે દૂતાવાસે 24 કલાક કાર્યરત ઈમરજન્સી મોબાઈલ નંબરો અને અધિકૃત ઈમેલ આઈડી જાહેર કર્યા છે.
ગઈકાલે જ્યારે ટ્રમ્પે ઈરાન પર ભીષણ હુમલાની ચેતવણી આપી હતી, ત્યારે દૂતાવાસે ભારતીયોને 48 કલાક સુધી ઘરની અંદર રહેવા અને સૈન્ય કે વીજ મથકોથી દૂર રહેવા સૂચના આપી હતી. દૂતાવાસ દ્વારા સંચાલિત આવાસમાં રહેતા ભારતીયોને પણ તેમના રૂમમાં રહેવા અને દૂતાવાસની ટીમ સાથે સંપર્કમાં રહેવા તાકીદ કરાઈ હતી. હવે યુદ્ધવિરામ મળતા જ ભારત સરકાર બાકીના નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે સક્રિય થઈ છે. ભારતીય દૂતાવાસ સતત બદલાતી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને નાગરિકોને દૂતાવાસની વેબસાઈટ તથા સોશિયલ મીડિયા પર નિયમિત અપડેટ્સ ચેક કરતા રહેવા વિનંતી કરી છે.
આ પણ વાંચોઃ આરબીઆઈએ નાણાકીય વર્ષ 2026 માટે ભારતનો રિયલ જીડીપી ગ્રોથ વધારીને 7.6 ટકા કર્યો

