રિવોઈ ન્યૂઝ, 25 મે, 2026 – અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં એક જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટીની જીત અને ત્યાં હોદ્દેદારોની નિમણૂકને સરકારની રચના ગણાવી છે. સાથે તેમણે એવો પણ દાવો કર્યો છે કે, 2027ની ચૂંટણીમાં તેમનો પક્ષ ગુજરાતમાં પૂર્ણ બહુમતીની સરકાર બનાવશે.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન રહી ચૂકેલા કેજરીવાલને મતે જિલ્લા પંચાયતમાં જીતનો અર્થ ગુજરાતમાં સરકાર બનાવવાનો થાય છે. આ અંગે તેમણે તેમના જ પક્ષના દુર્ગેશ પાઠક દ્વારા કરવામાં આવેલી X પોસ્ટને રિપોસ્ટ કરીને ગુજરાતમાં સરકાર બનાવી હોવાનો દાવો કર્યો છે.
આમ આદમી પાર્ટીની પ્રથમ સરકાર
દુર્ગેશ પાઠકની પોસ્ટમાં પણ સ્પષ્ટ વાંચી શકાય છે જેમાં તેઓ કહે છે કે, ગુજરાતના નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીની પ્રથમ સરકારની રચના થઈ છે.
આપ-ના આ બંને નેતાઓની સોશિયલ મીડિયા પોસ્ટ બાદ સમગ્ર દેશમાં તેમની હાંસી ઉડાવવામાં આવી રહી છે. લોકો કહી રહ્યા છે કે, જિલ્લા પંચાયતમાં જીતનો અર્થ સરકાર બનાવવો એવો ક્યારથી થયો?
Calling a Zila Panchayat a “Government” and then dreaming of forming the Gujarat Government in 2027 is peak @AamAadmiParty comedy. 🤡
This is the same party whose candidates lost deposits across Gujarat, with some managing barely 282 and 299 votes.
Ground reality –> deposits… https://t.co/ew6y6beSUT pic.twitter.com/zAq16Zje4B
— Rishi Kalia 🇮🇳 (@rkalia80) May 25, 2026
કેટલાક લોકો કેજરીવાલની હાંસી ઉડાવતા કહે છે કે, આટલું સામાન્ય જ્ઞાન તો શાળાનાં બાળકોને પણ હોય કે જિલ્લા પંચાયતમાં જીત મેળવવી એટલે સરકાર બનાવવી એવો અર્થ ન થાય.
કેટલાક લોકો વધારે આગળ વધીને કેજરીવાલને અપશબ્દો પણ બોલી રહ્યા છે. તો કેટલાક લોકો તેમને પડકારતા કહે છે કે, 2027ની વાત તો છોડો, આમ આદમી પાર્ટી કદી ગુજરાતમાં સરકાર બનાવી નહીં શકે.
આમ આદમી પાર્ટી દ્વારા નિમણૂકો થઈ
દરમિયાન, આમ આદમી પાર્ટી દ્વારા નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે આજે અંજનાબેન વસાવા તથા ઉપપ્રમુખ તરીકે સંગીતાબેન તડવીની પસંદગી કરવામાં આવી હતી. આ ઉપરાંત ડેડિયાપાડા તાલુકા પંચાતય પ્રમુખ તરીકે પ્રેમિલાબેન વસાવા, ગરુડેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ તરીકે અનિતાબેન તડવી, ચિકદા તાલુકા પંચાયત પ્રમુખ તરીકે રમેશભાઈ વસાવા અને સાગબારા પંચાયત પ્રમુખ તરીકે જગદીશભાઈ વસાવાની નિયુક્તિ કરવામાં આવી છે.

