Site icon Revoi.in

મોબાઈલ અને રિલ્સ અંગે સીએમ યોગીએ શું કહ્યું જાણો?

Social Share

લખનૌ, 9 ફેબ્રુઆરી 2026: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યના બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે એક પ્રેરણાદાયી પહેલ કરી છે. મુખ્યમંત્રીએ બાળકોના નામે એક વિશેષ પત્ર લખ્યો છે, જેને ‘યોગીની પાતી’ (યોગીનો પત્ર) નામ આપવામાં આવ્યું છે. આ પત્રમાં તેમણે બાળકોની સુરક્ષા, સ્વાસ્થ્ય અને તેમની આદતો અંગે મહત્વપૂર્ણ સૂચનો આપ્યા છે.

મુખ્યમંત્રીએ આજની પેઢીમાં મોબાઈલ અને સોશિયલ મીડિયાના વધતા વળગણ સામે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે બાળકોને ટકોર કરતા જણાવ્યું કે, “મોબાઈલ ફોન તમારો કિંમતી સમય ચોરી રહ્યો છે. કલાકો સુધી ગેમ રમવાથી અને રીલ્સ જોવાથી માત્ર આંખો જ નબળી પડતી નથી, પરંતુ માનસિક સ્વાસ્થ્ય પર પણ માઠી અસર થાય છે.” સીએમએ બાળકોને સલાહ આપી છે કે તેઓ મોબાઈલની આભાસી દુનિયામાંથી બહાર આવી પુસ્તકો સાથે મિત્રતા કરે અને મેદાનમાં રમે.

પતંગબાજીનો ઉલ્લેખ કરતા સીએમ યોગીએ બાળકોને ‘ચાઈનીઝ માંઝા’ના જોખમો વિશે ચેતવણી આપી હતી. તેમણે આ દોરાને પક્ષીઓ તેમજ મનુષ્યો માટે ‘મોતનો દોરો’ ગણાવ્યો હતો. મુખ્યમંત્રીએ બાળકોને અપીલ કરી છે કે તેઓ આ ખતરનાક માંઝાનો બહિષ્કાર કરે અને જો ક્યાંય તેનું વેચાણ થતું જુએ તો તરત જ પોલીસને જાણ કરે.

આગામી બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને સીએમ યોગીએ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. શ્રીમદ ભગવદ ગીતાના શ્લોક ‘કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન’ (કર્મ કરો, ફળની ચિંતા ન કરો)નું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે, વિદ્યાર્થીઓએ પરિણામના દબાણ વગર પૂરી મહેનતથી પરીક્ષા આપવી જોઈએ. તેમણે બાળકોને શાંત ચિત્તે પેપર વાંચવા અને નકારાત્મક વિચારોથી દૂર રહેવા પ્રોત્સાહિત કર્યા હતા.

આ પણ વાંચોઃ ટીમ ઈન્ડિયાએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ સતત જીત મેળવનારી ટીમ બની

Exit mobile version