કોલકાતા, 17 જાન્યુઆરી 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. દરમિયાન તેમણે વિકાસના અનેક કામોનું લોકાર્પણ-ખાતમૂર્હૂત કર્યું હતું. માલદામાં વિશાળ જનસભાને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે, આજે ભારત 2027 સુધી વિકસિત થવાના લક્ષ્યાંક ઉપર કામ કરી રહ્યો છે, વિકસિત ભારતના નિર્માણ માટે પૂર્વીય ભારતનો વિકાસ પણ ખુબ જરૂરી છે. દશકો સુધી પૂર્વીય ભારતને નફરતની રાજનીતિ કરનારાઓેએ જકડી રાખ્યો હતો. ભાજપા આ રાજ્યોને આવી રાજનીતિ કરનારાઓની ચૂંગલમાંથી છોડવવા માંગે છે. પૂર્વીય રાજ્યોનો વિશ્વાસ જો કોઈ પાર્ટી સાથે હોય તો તે માત્રને માત્ર ભાજપા છે.
તેમણે વધુમાં કહ્યું કે, ઓડિશામાં પ્રથમવાર ભાજપાની સરકાર બની છે. ત્રિપુરાએ અનેક વર્ષો સુધી ભાજપા ઉપર વિશ્વાસ રાખ્યો છે. અસમમાં પણ છેલ્લી ચૂંટણીમાં ભાજપાને સમર્થન મળ્યું છે. તાજેતરમાં પણ બિહારમાં ભાજપા-એનડીએની સરકાર બની છે. એટલે કે બંગાળની ચારેય તરફ ભાજપની સુશાસનવાળી સરકાર છે હવે બંગાળમાં સુશાસનની વારી છે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે, જ્યાં વર્ષો સુધી ભાજપાને લઈને જુઠ્ઠાણા ફેલાવવામાં આવ્યા હતા ત્યાં હવે મતદારો પણ અમને આર્શિવાદ આપી રહ્યાં છે. આજે બંગાળના લોકોનો ઉત્સાહ જોઈને મને પુરો વિશ્વાસ છે કે, આ વખતે બંગાળના લોકો ભાજપાને વિજયી બનાવશે. મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ગઈકાલે જ પરિણામ આવ્યાં છે તેમાં પણ ભાજપાની ઐતિહાસિક જીત થઈ છે.
વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં જ કેરળની રાજધાની તિરુવનંતપુરમમાં ભાજપાના મેયર બન્યાં છે. એટલે કે ક્યાં પહેલા ભાજપા માટે ચૂંટણી જીતવી અસંભવ હતી ત્યાં આજે ભાજપાને અભૂતપૂર્વ સમર્થન મળી રહ્યું છે. આ દર્શાવે છે કે, દેશના મતદારો, જેન-ઝીને ભાજપાના વિકાસ મોડલ ઉપર કેટલો વિશ્વાસ છે.

