કોલકાતા, 7 મે 2026: પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી બાદ હિંસના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. બીજી તરફ સુરક્ષાદળોએ હિંસાને અટકાવવા માટે કવાયત વધારે તેજ બનાવી છે. દરમિયાન ભાજપના સિનિયર નેતા શુભેન્દુ અધિકારીના પીએ ચંદ્રનાથ રથની હત્યાને પગલે સ્થાનિક રાજકારણ ગરમાયું છે. દરમિયાન શુભેન્દુ અધિકારીએ જણાવ્યું હતું કે, ચંદનાથ રથની હત્યા એટલા માટે થઈ કે મે ભવાનીપુરથી મમતા બેનર્જીને હરાવ્યાં, હું મારી તમામ જવાબદારીઓ પુરી કરીશ.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચંદ્રનાથ રથની હત્યા એક રીતે કોલ્ડ બ્લડેડ મર્ડર છે. રથની 2-3 દિવસ સુધી રેકી કરવામાં આવી હતી. પોલીસને કેટલાક મહત્વના પુરાવા મળ્યાં છે અને હાલ પોલીસ તપાસ ચાલી રહી છે. આ ટીએમસીના 15 વર્ષના મહાજંગલરાજનું પરિણામ છે. ભાજપા બંગાળમાં ગુંડાઓના સફાયા માટે કામ શરૂ કરશે. બીજી તરફ ટીએમસીએ શુભેન્દુ અધિકારીના પીએની હત્યા પાછળ પોતાની પાર્ટીના કાર્યકરોની સંડોવણીના આરોપોને ફગાવ્યાં છે. તેમજ સમગ્ર ઘટનાની સીબીઆઈ મારફતે તપાસની માંગ કરી હતી.
કેન્દ્રીય રાજ્યમંત્રી નિત્યાનંદ રાયએ જમાવ્યું હતું કે, ટીએમસીના ગુંડાઓએ છેલ્લા 15 વર્ષથી પશ્ચિમ બંગાળમાં હત્યા અને બલાત્કારનો માહોલ બનાવી રાખ્યો છે, હવે તેઓ પશ્ચિમ બંગાળમાં ફરીથી આવો માહોલ લાવવાનો પ્રયાસ કરશે તો તેમણે સમજી લેવુ જોઈએ કે હવે અહીં ભાજપાની સરકાર છે. મેદિનીપુર બેઠકના ભાજપના ધારાસભ્ય શંકર કુમાર ગુહાએ જણાવ્યું હતું કે, આ હત્યાની ઘટના દુઃખદ છે, ચંદ્ર ખુબ બુદ્ધિમાન હતા, અમારી વચ્ચે સારા સંબંધ હતા પરંતુ બંગાળમાં ટીએમસીની ગુંડાગિરીની રાજનીતિનો અંત આવવો જોઈએ. મારી માંગણી છે કે, જવાબદારોને આકરામાં આકરી સજા મળવી જોઈએ, બંગાળની રાજનીતિમાં ગુંડાઓ, બોમ્બ અને બંદુક રાજ ખત્મ થવું જ જોઈએ.

