[અલકેશ પટેલ] અમદાવાદ, 12 એપ્રિલ, 2026 – ઉદાર ભારતીયો હંમેશાં સાચા હોવા છતાં પોતાનું કથન દુનિયા સમક્ષ રજૂ કરવામાં પાછળ રહ્યા છે. અલબત્ત એ માટે ભારતીયો દોષિત છે એવું ન કહી શકાય કેમ કે આંતરરાષ્ટ્રીય નૅરેટિવની-કથનની ઇકોસિસ્ટમ જ એવી રહી છે કે ભારતીય સભ્યતાની, ભારતીય સંસ્કૃતિની, ભારતીય શાસ્ત્રોની વાતને મહત્ત્વ આપવામાં આવતું નહોતું. પરંતુ હવે આ સ્થિતિ બદલાઈ રહી છે. ભારતીય વિદ્વાનો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચ ઉપર ખૂબ સબળ રીતે રજૂ કરી રહ્યા છે અને આનંદની વાત એ છે કે દુનિયા હવે ભારતીય કથન તરફ, ભારતીય નૅરેટિવ તરફ કાન માંડી રહી છે.
બદલાઈ રહેલી આ સ્થિતિને વધુ મજબૂત બનાવવા, તેને હવે નિરંતર (સસ્ટેનેબલ) રાખવા માટે વિવિધ સ્તરે પ્રયાસ થઈ રહ્યા છે.
આવો જ એ પ્રયાસ શનિવારે સાંજે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના આંગણે થયો. માયઈન્ડમેકર્સ પબ્લિકેશન્સ પ્રા. લિ.(MyIndMakers), ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU) તથા નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (NIMCJ) દ્વારા સંયુક્તપણે “રિક્લેમિંગ ધ ઈન્ડિયન નૅરેટિવ” (ભારતીય કથનની પુનઃસ્થાપનાઃ) વિષય ઉપર એક પરિચર્ચાનું આયોજન થયું હતું.
Seminar held at Ambedkar Open University on Indian narrative
આ પરિસંવાદમાં માયઈન્ડમેકર્સની યરબુક (માયઈંડબુક-2026) તથા મુખ્ય વક્તા શ્રી રૂપાબેન ભાટીના પુસ્તક (ઈન્ડસ સીલ્સ ડેસિફર્ડ)ના પ્રતીકાત્મક લોકર્પણ પણ કરવામાં આવ્યા હતા.
આપણી સભ્યતા બે લાખ વર્ષ કરતાં વધુ જૂની
આપણી સભ્યતા પાંચ કે સાત હજાર વર્ષ જૂની છે એવું અત્યાર સુધી કહેવામાં આવી રહ્યું છે પરંતુ રૂપાબેને જે સંશોધનાત્મક પુસ્તક લખ્યું છે તેમાં તેમણે પ્રસ્થાપિત કર્યું છે કે, ભારતીય સભ્યતા બે લાખ વર્ષ કરતાં પણ વધુ જૂની છે એટલું જ નહીં પરંતુ એ સમયે પણ ભારતીય દુનિયાના વિવિધ દેશોમાં પહોંચ્યા હતા. વિવિધ દેશો સાથે વેપાર કરતા હતા અને દરિયાઈ વેપારની મહારત માત્ર આપણને હાંસલ હતી. તેમણે લાખો વર્ષ જૂની મહોરો-મુદ્રાઓની લીપી ઉકેલીને લાખો વર્ષ જૂની ભારતીય સભ્યાતનો એક ક્રમબદ્ધ ચિતાર તેમના પુસ્તકમાં રજૂ કર્યો છે.
આ અત્યંત મહત્ત્વના પરિવસંવાદમાં છેલ્લા 11 વર્ષથી ભારતીય કથનને માઈઈન્ડમેકર્સ નામે સમાચાર પોર્ટલ મારફત દુનિયા સમક્ષ રજૂ કરનાર શ્રી પ્રમોદકુમાર બુરાવલીએ અમુક વર્ષ સુધી અમેરિકામાં અને હવે ભારતમાં વિદેશી નૅરેટિવની સામે એક પ્રકારે બૌદ્ધિક યુદ્ધ છેડ્યું છે, જેને ઈન્ટલેક્ચ્યુઅલ ક્ષત્રિયો તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત ઈન્ડિયા કૉમનવેલ્થ ટ્રેડ કાઉન્સિલના શ્રી વિરલભાઈ ચૌધરી તેમજ આ સમગ્ર પરિસંવાદના આયોજનમાં ચાવીરૂપ ભૂમિકા ભજવનાર એનઆઈએમસીજેના ડિરેક્ટર ડૉ. શિરીષભાઈ કાશીકરે પણ ભારતીય કથનના મહત્ત્વ અને તેની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો.
સમગ્ર કાર્યક્રમ જ્યાં યોજાયો હતો તે ડૉ. આંબેડકર ઓપન યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ. અમીબેન ઉપાધ્યાયે માયઈન્ડમેકર્સ તેમજ રૂપાબેનને હૃદયપૂર્વક આવકાર્યા હતા એટલું જ નહીં પરંતુ તેઓ જે વિષયમાં આટલું વ્યાપક કામ કરે છે તેનો લાભ ઓપન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પણ મળી રહે તે માટે કોઈ વિશેષ અભ્યાસક્રમ તૈયાર કરવાની વિચારણા કરવાનું પણ આશ્વાસન આપ્યું હતું.

