- ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ૨૫ જૂને વડોદરા ખાતે, શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અમદાવાદ ખાતે, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ શ્રી પરસોત્તમભાઇ રૂપાલા રાજકોટ ખાતે, પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયા સુરત ખાતે ‘બંધારણ હત્યા દિવસ સંમેલન‘ માં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેશે
- ભાજપ દ્વારા તમામ જિલ્લા-મહાનગરોમાં સાર્વજનિક સ્થળે ૨૫,૨૬ અને ૨૭ જૂન દરમિયાન કટોકટીના કાળા અધ્યાયના દમનકારી તથ્યો રજૂ કરતા પ્રદર્શનનું આયોજન
- ‘બંધારણ હત્યા દિવસ સંમેલન‘ દરમિયાન મીસાવાસીઓનું સન્માન કરાશે
ગાંધીનગર, 24 જૂન, 2026 – ભાજપ દ્વારા આવતીકાલે 25 જૂનને ગુરુવારે રાજ્યનાં મુખ્ય શહેરોમાં ‘બંધારણ હત્યા દિવસ સંમેલન‘ યોજવામાં આવશે. આ સંદર્ભમાં આજે ગુજરાત પ્રદેશ ભાજપ મીડિયા વિભાગ દ્વારા જારી અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, સત્તાની ભૂખ અને સરમુખત્યારશાહીની માનસિકતા સાથે દેશમાં 25 જૂન 1975 ના રોજ કોંગ્રેસની તત્કાલીન કેન્દ્ર સરકારે દેશમાં કટોકટી લાદીને લોકશાહી અને બંધારણની હત્યા કરી હતી. એટલું જ નહીં પરંતુ નાગરિકોના મૂળભૂત અધિકાર અને પ્રેસ-મીડિયાની સ્વતંત્રતા છીનવી લેવામાં આવી હતી અને અનેક નિર્દોષ નાગરિકોને જેલના સળિયા પાછળ ધકેલી દઈ યાતનાઓ આપવામાં આવી હતી.
કોંગ્રેસના આ દમનકારી પગલાને દેશવાસીઓ ઇતિહાસમાં ‘લોકશાહીના કાળા અધ્યાય‘ તરીકે હંમેશા યાદ રાખશે. ‘બંધારણ હત્યા દિવસ‘- 25 જૂન અન્વયે ગુજરાત પ્રદેશ ભાજપા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્યનાં શહેરોમાં ટોચના નેતાઓનું કાર્પેટ બોમ્બિંગ
પક્ષ દ્વારા આવતીકાલે 25 જૂનને ગુરુવારે રાજ્યના વડોદરા, અમદાવાદ, રાજકોટ અને સુરત ખાતે ‘બંધારણ હત્યા દિવસ સંમેલન‘નું આયોજન થશે. ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં વડોદરા ખાતે સી. સી. મહેતા ઓડિટોરિયમ, એમ. એસ. યુનિવર્સિટી ખાતે સાંજે ૬.૦૦ કલાકે ભાજપા દ્વારા ‘બંધારણ હત્યા દિવસ સંમેલન‘ યોજાશે.
રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને ભાજપના વરિષ્ઠ આગેવાન શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ભવન્સ કોલેજ ઓડિટોરિયમ, અમદાવાદ ખાતે સાંજે ૪.૩૦ કલાકે, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ શ્રી પરસોત્તમભાઇ રૂપાલા રાજકોટ મહાનગર ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ‘ ખાતે સાંજે ૫.૦૦ કલાકે, પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયા સુરત મહાનગર ભાજપા કાર્યાલય ‘પંડિત દીનદયાળ ઉપાધ્યાય ભવન‘ ખાતે સાંજે ૬.૦૦ કલાકે આયોજિત ‘બંધારણ હત્યા દિવસ સંમેલન‘ માં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેશે.
મીસાવાસીઓનું સન્માન
વડોદરા, અમદાવાદ, રાજકોટ અને સુરત ખાતે આયોજિત ‘બંધારણ હત્યા દિવસ સંમેલન‘ દરમિયાન મીસાવાસીઓનું સન્માન કરાશે. આ ઉપરાંત ભાજપ દ્વારા તમામ જિલ્લા-મહાનગરોમાં સાર્વજનિક સ્થળે ૨૫,૨૬ અને ૨૭ જૂન દરમિયાન કટોકટીના કાળા અધ્યાય ના દમનકારી તથ્યો રજૂ કરતી પ્રદર્શનીનું આયોજન કરવામાં આવશે.

