જો ઇન્દિરા ગાંધી જીવતા હોત તો ભાજપ પર પ્રતિબંધ લગાવી દેત: અશોક ગેહલોત
જયપુર, 15 જૂન 2026: રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતે ભારતીય જનતા પાર્ટી પર અત્યાર સુધીનો સૌથી આકરો પ્રહાર કર્યો છે. ગેહલોતે દાવો કર્યો છે કે, “જો પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી આજે જીવતા હોત, તો તેમણે ભાજપ જેવા પક્ષ પર કાયદેસરનો પ્રતિબંધ લગાવી દીધો હોત.” તેમણે ચેતવણી આપતા કહ્યું કે આજે દેશની અંદર જે ખતરનાક માહોલ ઉભો કરાયો છે, તેવો ડરનો માહોલ તેમણે પોતાના 50 વર્ષના રાજકીય કરિયરમાં ક્યારેય જોયો નથી. જો દેશવાસીઓ હવે નહીં સંભળે, તો આવનારી પેઢીનું ભવિષ્ય બરબાદ થઈ જશે.
અશોક ગેહલોતે વિપક્ષી એકતા પર ભાર મૂકતા જણાવ્યું કે, દેશના લોકશાહી માળખાને બચાવવા માટે ઈન્ડી ગઠબંધનને વધુ મજબૂત કરવું અનિવાર્ય છે. તેમણે ખુલ્લેઆમ માંગ કરી છે કે, “ઇન્ડિ ગઠબંધને કોઈ પણ ખચકાટ વિના સત્તાવાર રીતે રાહુલ ગાંધીને પોતાનું નેતૃત્વ સોંપી દેવું જોઈએ.” ગેહલોતે દેશના યુવાનોને આહવાન કરતા કહ્યું કે, આજે દેશની પરિસ્થિતિ બદલવાની સૌથી મોટી જવાબદારી યુવા પેઢીની છે, જો તેઓ આજે મૌન રહેશે તો ઈતિહાસ તેમને ક્યારેય માફ નહીં કરે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ ભાજપની વિચારધારા સામે સવાલો ઉઠાવતા કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની 403 બેઠકો હોવા છતાં, ભાજપ એક પણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપતું નથી. દેશને બતાવવા ખાતર પણ 5 બેઠકો આપી શકાઈ હોત, પરંતુ ભાજપ માત્ર પોતે ‘શુદ્ધ હિન્દુત્વવાદી’ પક્ષ હોવાનું સાબિત કરવા માંગે છે. ભાજપના જ વરિષ્ઠ મુસ્લિમ નેતાઓ મુખ્તાર અબ્બાસ નકવી અને પૂર્વ મંત્રી શાહનવાઝ હુસૈન જેવા નેતાઓને આજે હાંસિયામાં ધકેલીને ઘરે બેસાડી દેવામાં આવ્યા છે.કોંગ્રેસ ગાંધી, નહેરુ, પટેલ અને આંબેડકરના સિદ્ધાંતો પર બનેલી પાર્ટી છે. ઇન્દિરા ગાંધીએ શહાદત વહોરી પણ ખાલિસ્તાન ન બનવા દીધું અને રાજીવ ગાંધીએ ઉપમહાદ્વીપમાં શાંતિ સ્થાપવા માટે પોતાના જીવનું બલિદાન આપ્યું. જ્યારે આજની સત્તાધારી પાર્ટી દેશને નબળો પાડી રહી છે.
-
ભાજપનો પલટવાર: કોંગ્રેસે લોકશાહીનું ગળું ઘોંટ્યું હતું
અશોક ગેહલોતના આ વિવાદાસ્પદ નિવેદન પર રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી પ્રેમચંદ બૈરવાએ આકરા પ્રહારો કર્યા છે. બૈરવાએ જણાવ્યું કે, “કોઈ પણ રાજકીય પક્ષ પર પ્રતિબંધ લગાવવાની વાત ન તો ભારતના મૂળ બંધારણમાં છે કે ન તો લોકશાહીના સિદ્ધાંતોમાં છે. અશોક ગેહલોત માત્ર અને માત્ર મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ કરવા માટે આવા ગેરબંધારણીય નિવેદનો આપી રહ્યા છે.” ડેપ્યુટી સીએમ બૈરવાએ ઇન્દિરા ગાંધીના શાસનકાળની યાદ અપાવતા વળતો પ્રહાર કર્યો કે, “પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ જ દેશ પર કટોકટી લાદીને આખા દેશને મુશ્કેલીની આગમાં ઝોંકી દીધો હતો અને લોકશાહીનું ગળું ઘોંટ્યું હતું. ગેહલોતના વિચારો લોકશાહી વિરોધી માનસિકતા દર્શાવે છે.”


