Site icon Revoi.in

મીડલ ઈસ્ટમાં ચાલતા તણાવને પગલે પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા અંગે RBIએ આપ્યા સંકેત

Social Share

નવી દિલ્હી, 13 મે 2026: મીડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષની અસર ભારતીય અર્થવ્યવસ્થા પર પડી રહી છે. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, જો તણાવ લાંબા સમય સુધી ચાલતો રહેશે તો દેશમાં પેટ્રોલ-ડિઝલની કિંમતમાં વધારો થઈ શકે છે. હાલના સમયમાં સરકાર અને સરકારી ઓઈલ કંપનીઓ ક્રુડ ઓઈલની વધતી કિંમતોનો ભાર ઉઠાવી રહી છે. પરંતુ આ સ્થિતિ લાંબા સમય સુધી રહી તો મુશ્કેલીઓ વધી શકે છે.

સ્વિઝરલેન્ડમાં આયોજીત એક આંતરરાષ્ટ્રીય સંમેલનમાં આરબીઆઈના ગવર્નર મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, સરકારે હાલ એક્સાઈઝ ડ્યુટી ઓછી રાખી છે અને સરકારી ઓઈલ કંપનીઓ નુકસાન સહન કરીને ગ્રાહકો ઉપર વધારાનો બોજ નથી નાખી રહી, પરંતુ આ યુદ્ધ અને તણાવ લાંબો સમય ચાલ્યો તો કિંમતોમાં વધારો સામાન્ય જનતા સુધી પહોંચી શકે છે.

દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લોકોને ઈંધણની બચત અને બિનજરુરી ખર્ચ ઘટાડવા અપીલ કરી હતી. તેમણે ખાસ કરીને પેટ્રોલ-ડિઝલનો ઉપયોગ ઓછો કરવા અને સોનાની ખરીદી ટાળવા માટે દેશવાસીઓને વિનંતી કરી છે. જેથી દેશનો વિદેશી મુદ્રા ભંડાર સુરક્ષિત રાખી શકાય. સરકારે સોનાની આયાત ઉપર ટેક્સ પણ બમણો કરી દીધો છે. એવુ માનવામાં આવી રહ્યું છે કે, આયાત સામાનની માગ ઓછી કરવા માટે આ પગલા લેવામાં આવ્યાં છે.

મીડલ ઈસ્ટના તણાવની અસર ભારતમાં સામાન્ય પરિવારમાં જોવા મળી રહી છે. ભારતમાં છુટક મોંધવારી દર એપ્રિલ મહિનામાં વધીને 3.48 ટકા પહોંચ્યો છે જ્યારે માર્ચ મહિનામાં 3.40 ટકા હતો. જો કે, આ આંકડો અંદાજ કરતો ઓછો છે પરંતુ જાણકારોના મતે, જો ક્રુડ ઓઈલની કિંમતો સતત વધતી રહેશે તો મોંઘવારી ઉપર તેની અસર પડશે. મીડલ ઈસ્ટમાં તણાવને પગલે સપ્લાય ચેઈનને અસર પડી છે. માલસામાન અને તેલ પુરવઠામાં સમસ્યાઓ વધવા લાગી છે, જેની અસર આગામી મહિનાઓમાં ભારતીય બજાર પર જોવા મળી શકે છે.

આરબીઆઈએ ચાલુ નાણાકીય વર્ષ માટે વિકાસ દર 6.9 ટકાનો અંદાજ રાખ્યો છે અને મોંઘવારી દર સરેરાશ 4.6 ટકા રહેવાની શકયતાઓ વ્યક્ત કરી છે. જો કે, કેટલાક અર્થશાસ્ત્રીઓનું માનવુ છે કે, યુદ્ધ લાંબો સમય ચાલશે તો આર્થિક વિકાસ ધીમો પડી શકે છે. આરબીઆઈએ એપ્રિલ મહિનામાં રેપો રેટ 5.25 ટકા પર સ્થિર રાખ્યો હતો. આરબીઆઈ ગવર્નરએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય બેંક હવે દરેક બેઠકમાં આગામી આર્થિક આધાર ઉપર નિર્ણય લે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, જો મોંઘવારીની અસર લાંબા સમય સુધી રહેશે તો આરબીઆઈ યોગ્ય પગલા ઉઠાવશે.

આ પણ વાંચોઃ હિન્દુ ધર્મ માત્ર પુજા પદ્ધતિ પુરતો મર્યાદિત નથી પરંતુ જીવન જીવવાની એક રીત છેઃ સુપ્રીમ કોર્ટ

Exit mobile version