જમ્મુ, 18 નવેમ્બર, 2025ઃ A village where onions and garlic are totally banned! ડુંગળી-લસણ વિનાનું ભોજન હોય એ તો આપણે સાંભળ્યું છે. મોટેભાગે જૈનો અને સ્વામિનારાયણ સંપ્રદાયના મોટાભાગના લોકો ડુંગળી-લસણનો ઉપયોગ કરતા નથી. દેશ અને દુનિયામાં ઘણી જગ્યાએ જૈન ડિશ, સ્વામિનારાયણ ડિશ વિશે પણ સાંભળવા મળે છે. પરંતુ શું આખેઆખું ગામ એવું હોઈ શકે જ્યાં આ બંને સંપૂર્ણપણે પ્રતિબંધિત હોય?
સામાન્ય રીતે આ બંને ચીજનો ભોજનમાં, નાશ્તામાં કોઈને કોઈ રીતે ઉપયોગ થતો હોય છે. કાંતો શાકમાં તે મિશ્ર કરવામાં આવે અથવા કેટલાક લોકો થાળીમાં અલગથી ડુંગળી લેતા હોય છે. ગરીબો માટે તો ડુંગળી કસ્તુરી ગણાય છે. તેમના ભોજનમાં મોટેભાગે રોટલો અને ડુંગળી અથવા લસણની ચટણી હોય છે.
પરંતુ મીડિયા અહેવાલ અનુસાર જમ્મુ-કાશ્મીરના કટરા નગરમાં બંને ઉપર સંપૂર્ણ પ્રતિબંધ છે. કટરાની કોઈપણ હોટેલ – રેસ્ટોરામાં ડુંગળી-લસણ વાળો ખોરાક મળતો નથી, કે સલાડ તરીકે અલગથી કાપીને ખાવા માટે પણ તેનો ઉપયોગ થતો નથી. એટલું જ નહીં સમગ્ર બજારમાં શાકભાજીની દુકાનો કે લારીઓમાં પણ આ બંને ચીજનું વેચાણ થતું નથી.
હકીકતે કટરા એ નગર છે જ્યાંથી માતા વૈષ્ણોદેવીની યાત્રાનો પ્રારંભ થાય છે. માતાના દર્શન કરવા માગતા લોકો કટરા પહોંચે છે અને ત્યાંથી દર્શને જવા માટે પહાડ ચડવાની શરૂઆત થાય છે.
માતાના મંદિર અને તેની ધાર્મિક પવિત્રતા જળવાઈ રહે તે માટે સમગ્ર નગરમાં ડુંગળી-લસણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. કહેવાય છે કે, શહેરના વેપારીઓ અને નાગરિકો પણ મંદિરની પવિત્રતા જાળવવાના આશયથી તંત્ર દ્વારા મૂકવામાં આવેલા આ પ્રતિબંધનું શ્રદ્ધાપૂર્વક પાલન કરે છે. અને છતાં ભોજન કે નાશ્તા એટલા જ સ્વાદિષ્ટ લાગે છે કે, શ્રદ્ધાળુઓને ડુંગળી-લસણનો અભાવ વર્તાતો જ નથી.

