Site icon Revoi.in

એક દેશ, એક ચૂંટણી શા માટે દેશહિતમાં છે? જાણો JPCએ શું કહ્યું?

Why is one country, one election in the national interest? Know what JPC said?

Why is one country, one election in the national interest? Know what JPC said?

Social Share

[અલકેશ પટેલ] ગાંધીનગર, 20 મે, 2026એક દેશ, એક ચૂંટણી માત્ર દેશના આર્થિક સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ તે દેશહિતમાં પણ છે તેમ શ્રી પી.પી. ચૌધરીએ જણાવ્યું હતું. લોકસભા અને રાજ્ય વિધાનસભાઓની ચૂંટણી એક સાથે કરવા માટે સર્વસંમતિ ઊભી કરવા રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ના અધ્યક્ષ શ્રી ચૌધરી ગિફ્ટ સિટી ખાતે પત્રકારોને સંબોધી રહ્યા હતા. આ પત્રકાર પરિષદ સમયે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલા પણ તેમની સાથે ઉપસ્થિત હતા.

હાલ ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવેલી જીપીસી ટીમ રાજ્યના રાજકીય પક્ષો, સરકારી અધિકારીઓ ઉપરાંત સિવિલ સોસાયટીના અગ્રણીઓ સાથે મુલાકાત કરવાના છે.

શ્રી પી.પી. ચૌધરીએ જણાવ્યું કે, આ માટેના કાયદાનો જે મુસદ્દો બનાવ્યો છે તે દેશના ઓછામાં ઓછા છ વરિષ્ઠ નિવૃત્ત ન્યાયમૂર્તિઓને વંચાવ્યો છે અને દરેકે કહ્યું છે કે, આ કાયદામાં કશું જ ગેરબંધારણીય નથી.

દેશને 7 લાખ કરોડ રૂપિયાની બચત થઈ શકે

‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ (વન નેશન, વન ઇલેક્શન) ના પ્રસ્તાવ પર વિચાર-વિમર્શ કરી રહેલી સંયુક્ત સંસદીય સમિતિ (JPC) ના અધ્યક્ષ પી. પી. ચૌધરીએ ગઈકાલે 19 મે 2026ને મંગળવારે ગિફ્ટ સિટી ક્લબ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવામાં આવે તો દેશને 7 લાખ કરોડ રૂપિયાની બચત થઈ શકે છે અને એ રીતે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) માં 1.6 ટકાનો વધારો થશે. એટલું જ નહીં પરંતુ આ બચેલી રકમનો ઉપયોગ વિકાસ કાર્યો માટે કરી શકાય છે.

શ્રી ચૌધરીએ ગુજરાતના મુખ્ય સચિવને પ્રસ્તાવના સંદર્ભમાં તમામ વિભાગો તરફથી મળેલા સૂચનો પર એક વિગતવાર અહેવાલ સુપરત કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. લોકસભા અને રાજ્ય વિધાનસભાઓની ચૂંટણી એકસાથે યોજવાના પ્રસ્તાવ પર વિચાર-વિમર્શ કરી રહેલી JPC એ મંગળવારે ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાત શરૂ કરી હતી.

પ્રથમ દિવસે સમિતિએ ગાંધીનગરની ગિફ્ટ સિટી (GIFT City) માં અમલદારો, મુખ્ય સચિવ એમ. કે. દાસ, સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) ના પદાધિકારીઓ અને વિવિધ વિભાગોના સચિવો સાથે બેઠક યોજી હતી.

આ પણ વાંચોઃ ગુજરાતઃ 84 નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની જાહેરાત

બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધતા JPC અધ્યક્ષ અને ભાજપના સાંસદ પી.પી. ચૌધરીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના અધિકારીઓએ વિગતવાર પ્રેઝન્ટેશન આપ્યું હતું, જેમાં અગાઉ જેના પર વિચાર નહોતો કરાયો તેવા ઘણા મહત્વપૂર્ણ મુદ્દા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. તેમણે ઉમેર્યું, “અમે તેમને એક વ્યાપક અહેવાલ તૈયાર કરવા નિર્દેશ આપ્યો છે, જેને પાછળથી દેશભરની અન્ય રાજ્ય સરકારો એક મોડેલ તરીકે અપનાવી શકે, જેથી તેઓ પણ પોતાનો અહેવાલ એ જ ફોર્મેટમાં સબમિટ કરે.” જીપીસી અધ્યક્ષે કહ્યું કે આ અહેવાલમાં ઉદ્યોગો, ઉત્પાદનનું નુકસાન, શ્રમિકોનું સ્થળાંતર, રોજગાર, GST કલેક્શન, અર્થતંત્ર, પ્રવાસન અને શિક્ષણ પર પડનારી અસરોનું વ્યાપક મૂલ્યાંકન હોવું જોઈએ.

ચૂંટણી પ્રક્રિયામાં સુધારા માટે શ્રી ચૌધરીની અધ્યક્ષતામાં 41 સભ્યોની સંસદીય સમિતિ એકસાથે ચૂંટણી યોજવા સંબંધિત બે પ્રસ્તાવિત કાયદાઓ- બંધારણ (129મો સુધારા) ખરડો તથા કેન્દ્રશાસિત પ્રદેશ કાયદો (સંશોધન) વિધેયક પર વિચાર કરી રહી છે.  તેમણે કહ્યું, “અર્થશાસ્ત્રીઓએ પણ આ જ વાત કહી છે કે આનાથી જીડીપીમાં 1.6 ટકાની વૃદ્ધિ થઈ શકે છે. જો એકસાથે ચૂંટણીઓ યોજાય, તો દેશ 7 લાખ કરોડ રૂપિયા બચાવી શકે છે. આ રકમનો ઉપયોગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, ગરીબોના કલ્યાણ, શિક્ષણ, આરોગ્ય સેવા અને અન્ય જનકલ્યાણના કાર્યો માટે કરી શકાય છે.”

ચૂંટણી સુધારણા

ભાજપના નેતાએ ચૂંટણી સુધારણા પ્રક્રિયા શરૂ કરવાનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે આ પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં આ મુદ્દે વિચાર-વિમર્શ માટે એક સમિતિની રચના કરી હતી. તેમણે માહિતી આપી હતી કે ભારતના છ પૂર્વ મુખ્ય ન્યાયાધીશોએ સમિતિને જણાવ્યું છે કે આનાથી સંઘીય માળખા, મૂળભૂત માળખા કે મૂળભૂત અધિકારો અંગે કોઈ પ્રકારનું ઉલ્લંઘન થતું નથી.

એકસાથે ચૂંટણી પર મોટી ભલામણ

તેમણે કહ્યું, “સમિતિએ આશરે 18,000 પાનાનો એક વિગતવાર અહેવાલ રજૂ કર્યો હતો, જેને સરકારે સ્વીકારી લીધો છે. આ અહેવાલમાં લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવાની ભલામણ પણ સામેલ છે.” ભલામણો અનુસાર, લોકસભા અને રાજ્ય વિધાનસભાઓની ચૂંટણી એકસાથે થવી જોઈએ, જ્યારે પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણીઓ સંસદીય અને વિધાનસભા ચૂંટણીના 100 દિવસની અંદર પૂર્ણ થઈ જવી જોઈએ. “આ સુધારાથી વારંવાર ચૂંટણી યોજવાની જરૂરિયાત નહીં રહે અને સરકારોને શાસન, વિકાસ, ગરીબી નાબૂદી, શિક્ષણ, આરોગ્ય સંભાળ અને એકંદર રાષ્ટ્રીય પ્રગતિ માટે વધુ સમય અને સંસાધનો ફાળવવાની તક મળશે” તેમ તેમણે ઉમેર્યું હતું અને આશા વ્યક્ત કરી કે, સમિતિ વિગતવાર અભ્યાસ કરી રહી છે અને તેમને વિશ્વાસ છે કે તેના સભ્યો અને સંસદ, બંને પક્ષીય રાજકારણથી ઉપર ઉઠીને રાષ્ટ્રીય હિતમાં કામ કરશે.

સંમતિ સાધવા માટે રાજ્યોની મુલાકાત

તેમણે માહિતી આપી હતી કે આ સમિતિ ગુજરાત પહોંચતા પહેલા મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, પંજાબ અને કર્ણાટકની મુલાકાત લઈ ચૂકી છે. ચૌધરીએ અંતમાં કહ્યું, “અમારો પ્રયાસ દરેક પક્ષની વાત સાંભળવાનો અને તમામ દ્રષ્ટિકોણને ધ્યાનમાં લેવાનો છે. જ્યારે અમે સંસદને અમારી ભલામણો સોંપીશું, ત્યારે અમારો પ્રાથમિક ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો રહેશે કે તમામ હિતધારકો વચ્ચે વ્યાપક સંમતિ સધાયેલી હોય.”

Exit mobile version