Site icon Revoi.in

વાચનવૃત્તિને એક નવી ઊંચાઈએ લઈ જવા માગે છે Club YOUTH उपनिषद्

Club YOUTH wants to take reading to a new height

Club YOUTH wants to take reading to a new height

Social Share

[અલકેશ પટેલ] રિવોઈ ન્યૂઝ, 23 જૂન, 2026 – મીડિયા અને સ્પર્ધાના જમાનામાં વાચનવૃત્તિ ઓછી થઈ રહી છે એવી ફરિયાદ અનેક વિદ્વાનો કરે છે. ખાસ કરીને સાહિત્ય, પત્રકારત્વ, કળા સાથે સંકળાયેલા વિદ્વાનો આ બાબતે ચિંતિત છે. કેટલાક લોકો માત્ર ચિંતા જ વ્યક્ત કરતા હોય છે તો એથી વિરુદ્ધ કેટલાક લોકો આ દિશામાં સકારાત્મક કામગીરી કરીને વિદ્યાર્થીઓને, યુવાનોને તેમજ સમાજના અન્ય લોકોને વાચન તરફ કેવી રીતે વાળી શકાય એ દિશામાં નક્કર કામગીરી કરવા પણ પ્રયાસ કરતા હોય છે.

આવા જ એક યુવાન છે દીપકભાઈ વાઘાણી. ભારતીય સનાતન સંસ્કૃતિ માટે સતત ચિંતનશીલ અને પ્રયત્નશીલ રહેતા દીપકભાઈ છેલ્લા ઘણાં વર્ષથી ગાંધીધામમાં યુથ ઉપનિષદના નેજા હેઠળ પ્રતિવર્ષ રાજ્યમાંથી વિવિધ લેખકોને ગાંધીધામ બોલાવીને પુસ્તક વિશે સંવાદના કાર્યક્રમો યોજે છે. પુસ્તકોના પ્રદર્શન-વેચાણ કરે છે. હવે તેનાથી આગળ વધીને તેઓ રાજ્યમાં અને દેશના અન્ય ભાગમાં પણ ક્લબ યુથ ઉપનિષદ નામે એક વિશિષ્ટ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓ-યુવાનોમાં વાચનવૃત્તિ જગાવવા પ્રયાસ કરી રહ્યા છે.

 આ પણ વાંચોઃ વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા REVOI સહિત પત્રકારોની દેવર્ષિ નારદ પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું

શું હશે ક્લબ યુથ ઉપનિષદ?

ક્લબ યુથ ઉપનિષદ નામે પ્રવૃત્તિ હેઠળ શક્ય હોય ત્યાં સુધી ગ્રામ્ય વિસ્તારોમાં જે યુવક કે યુવતી કે પછી અન્ય કોઈપણ વ્યક્તિ પાસે સમય અને જગ્યાની અનુકૂળતા હોય તો તેમને પુસ્તકો વિના મૂલ્યે આપવામાં આવશે. આ પ્રવૃત્તિ શરૂ કરવા માટે ઓછામાં ઓછા 25 વાચકોનું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. આ અંગેના સમગ્ર નિયમો અને જરૂરિયાતો નીચે પ્રમાણે છેઃ

– 25 લોકોનું રજિસ્ટ્રેશન થઇ ગયા પછી સાહિત્ય યુથ ઉપનિષદ્ મોકલશે જે વિના મૂલ્યે હશે.
– ક્લબ યુથ ઉપનિષદની ટીમ પોતાના ગામ / વિસ્તારમાં મહિનામાં 2 વખત મળશે.
– મહિનાના બીજા અને ચોથા રવિવારે બપોરે 3 થી સાંજે 7 વચ્ચે 1 કલાક માટે મળશે.
– ક્લબ યુથ ઉપનિષદમાં જોડાવા માટે પ્રથમ વખત ઑનલાઈન રજિસ્ટ્રેશન જરુરી રહેશે.
– ક્લબ યુથ ઉપનિષદ સંચાલન માટે 3 થી 5 જણની ટીમ રહેશે. જે પુસ્તકોના સ્ટોક અને લેવડ દેવડની જવાબદાર રહેશે.
– બીજા અને ચોથા શનિવારે રજિસ્ટ્રેશન કરેલા લોકો જૂનું પુસ્તક આપી જશે નવું લઇ જશે.
– રજિસ્ટર થયેલા લોકોનું વૉટ્સએપ ગ્રુપ હશે જેમાં માત્ર એડમિન આગામી ઇવેન્ટ પુરતી માહિતી આપશે.
– ⁠ક્લબ યુથ ઉપનિષદ્ માત્ર યુથ ઉપનિષદ દ્વારા અપાયેલાં પુસ્તકોની આપ-લે કરશે.
– ⁠આ માટે દર રવિવારે મળવાનું સ્થળ સંભવતઃ ગામ કે શહેરની નજીકની સ્કૂલ અથવા મંદિર રાખવું. સ્કૂલના શિક્ષક મિત્રોને સાથે જોડવા.

આવી પહેલ પાછળનો ઉદ્દેશ!

આ પહેલ અંગે રિવોઈ સાથે વાત કરતા દીપકભાઈએ જણાવ્યું કે હાલ ભુજ – ગાંધીધામમાં પ્રાથમિક લેવલ પર કેન્દ્ર શરુ કર્યા છે. તે સિવાય 2-3 જણ તૈયાર છે તેઓ જગ્યા શોધી રહ્યા છે. તેઓ રિવોઈને જણાવે છે કે, મારો ઉદ્દેશ્ય ભારત અને ભારતીયતાને આવતી પેઢી સુધી લઇ જવાનો છે. ભારત એટલે અધ્યાત્મ, તેને ગુગલ પર ન શોધી શકાય! તે અભ્યાસ અને અનુભુતિનો વિષય છે. એક પ્રયાસ છે, ભૂમિ નિષ્ઠા, ભાષા નિષ્ઠા, ધર્મ નિષ્ઠા વાળા લોકોનો સમુહ બને. ટીવી અને મોબાઇલની કાલ્પનીક દુનિયામાંથી બહાર આવી સ્વયમની સાથે રહેવાય જેમાં પુસ્તક શ્રેષ્ઠ માધ્યમ છે. સાહિત્યમાં પણ શું વાંચન કરવું શું નહીં તેની લોકો પાસે સમજ અથવા ક્યારેક દિશા નથી હોતી. મૂળ સનાતનનું સાહિત્ય વંચાય અને તે માટે નિશ્ચિત કરેલાં પુસ્તકોની આપ-લે થાય. “ક્લબ યુથ ઉપનિષદ” નો પ્રયાસ એ છે કે ઓર્ગેનિક સાહિત્ય લોકો સુધી પહોંચે. એક પ્રયાસ કરીએ – “हर गाँव तक्षशिला” બની શકે તેવો.

Exit mobile version