
અમદાવાદઃ મોબાઈલ સાથે બેન્ક એકાઉન્ટ સંલગ્ન હોવાથી ઓનલાઈન ફ્રોડના બનાવો વધી રહ્યા હતા. સાયબર ક્રાઈમના કેસોમાં સૌથી વધુ ઓનલાઈન ફ્રોડના કેસ નોંધાતા હોય છે. ઘણા લોકો મોબાઈલ પર આવેલા ઓટીપી પણ શેર કરતા હોય છે. આમ સાયબર ક્રાઈમના ઓનલાઈન ફ્રોડના બનાવો અટકાવવા માટે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન્સે 1 લી ડિસેમ્બરથી સિમકાર્ડ માટે નવા નિયમ લાગુ કર્યા છે. નવું સિમકાર્ડ ખરીદતી વખતે ગ્રાહકોએ તેમનો ડેટા અપડેટ કરાવવાનો રહેશે. ઉપરાંત સિમકાર્ડના ડીલરને પણ વેરિફાઈ કરવાના રહેશે. ઓનલાઈન ફાઈનાન્શિયલ ફ્રોડને રોકવા માટે સરકારે આ નવા નિયમો લાગુ કર્યા છે. હવે બલ્કમાં સિમકાર્ડ પણ નહીં ખરીદી શકાય અને ડીલર્સે પણ ફરજિયાત વેરિફિકેશન કરાવવું પડશે.
દેશભરમાં 1 ડિસેમ્બર 2023થી ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન્સે સિમકાર્ડ માટે નવા નિયંત્રણો લાગુ કર્યા છે. જે મુજબ, ગ્રાહકોએ નવું સિમકાર્ડ ખરીદતાં પહેલા તેમનું KYC અપડેટ કરાવવાનું રહેશે, સિમકાર્ડના ડીલરનું વેરિફિકેશન પણ કરાવવું પડશે. ઉપરાંત હવે બલ્કમાં સિમકાર્ડ નહીં ખરીદી શકાય. છેલ્લા થોડા વખતથી ઓનલાઈન થતાં ફાઈનાન્શિયલ ફ્રોડનું પ્રમાણ વધી ગયું છે. તેને નિયંત્રિત કરવા માટે આ નવા નિયમો અમલમાં મૂકાયા છે. નવા નિયમ પ્રમાણે, દરેક વ્યક્તિને કેવાયસી એટલે કે નો યોર કસ્ટમરની ડિજિટલ પ્રોસેસમાંથી પસાર થવું પડશે. જો કોઈ કસ્ટમર નવું સિમકાર્ડ ખરીદતો હોય અથવા તો હાલના ચાલુ નંબર માટે નવું સિમકાર્ડ લઈ રહ્યો હોય તો તેમણે જરૂરી ડેમોગ્રાફિક ડિટેલ્સ આપવી પડશે. કેવાયસી સુધારણા હેઠળ આ વિગત આપવાની રહેશે. આ વિગતો આધારકાર્ડ પર પ્રિન્ટ થયેલા QR કોડને સ્કેન કરીને મેળવી લેવાશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે હવે સિમકાર્ડ રિપ્લેસ કરાવવાનું હોય તો સબસ્ક્રાઈબરે KYC પ્રોસેસ પૂરી કરવી પડશે. ઉપરાંત 24 કલાક સુધી ઈનકમિંગ અને આઉટગોઈંગ SMS સુવિધા બંધ થઈ જશે. સરકારે એમ પણ જણાવ્યું કે, એક મોબાઈલ નંબર કોઈ ગ્રાહકે બંધ કરાવ્યો હોય તેના 90 દિવસ પછી જ બીજાને આપવામાં આવશે.
ડિજિટલ સ્કેમ રોકવા માટે સરકારે બલ્કમાં સિમકાર્ડ ઈશ્યૂ કરવાનું પણ બંધ કરી દીધું છે. જો કોઈ કંપની પોતાના કર્મચારીઓ માટે બલ્કમાં સિમકાર્ડ ખરીદવા માગતી હોય તો તેમણે એક ઓથોરાઈઝ્ડ વ્યક્તિની નિમણૂક કરવી પડશે જે યોગ્ય ડૉક્યુમેન્ટ્સ આપીને બલ્કમાં સિમકાર્ડ લઈ શકશે. આ સુવિધાને ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યૂનિકેશને બિઝનેસ કનેક્શન્સ નામ આપ્યું છે. જોકે, એક વ્યક્તિ હજી પણ સિંગલ આઈડી પ્રૂફ પર નવ સિમકાર્ડ ખરીદી શકે છે.
ટેલિકમ્યુનિકેશન વિભાગના સૂત્રોના કહેવા મુજબ નવા નિયમ પ્રમાણે, બધા જ ટેલિકોમ ઓપરેટરોએ હવે તેમની ફ્રેન્ચાઈઝી, પીઓએસ એજન્ટ્સ અને ડિસ્ટ્રીબ્યૂટર્સનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે. જે બાદ તેમનું વેરિફિકેશન થશે. જો નિયમનું પાલન નહીં થાય તો 10 લાખ રૂપિયા દંડ ભરવો પડશે. પોઈન્ટ-ઓફ-સેલ (PoS) એજન્ટ્સે લેખિત એગ્રીમેન્ટ સાથેના લાયસન્સથી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. હાલના પીઓએસ પાસે નવી રજિસ્ટ્રેશન પ્રક્રિયા અંતર્ગત નોંધણી કરાવવા માટે 12 મહિનાનો સમય છે. આ પગલાનો હેતુ ફ્રોડ કરતાં PoS એજન્ટ્સ કે જેઓ અસામાજિક તત્વો કે દેશ વિરોધી તત્વોને સિમકાર્ડ આપતાં હોય તેમને પકડી પાડવાનો છે. સરકારે ચેતવણી આપી છે કે, હાલના કોઈ પીઓએસ એજન્ટ ગેરકાયદે ગતિવિધિઓમાં સંડોવાયેલા હશે તો તેમને ટર્મિનેટ કરાશે અને ત્રણ વર્ષ માટે બ્લેકલિસ્ટ કરી દેવાશે.