
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે સાણંદ ખાતે અમદાવાદ-માળિયા રોડ પર આવેલા શાંતિપુરા ચોકડીથી ખોરજ GIDC સુધીના અનુભાગના છ-માર્ગીયકરણ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદ જિલ્લાના સાણંદ અને તેની આસપાસના વિસ્તારોમાં થયેલા અભૂતપૂર્વ ઔદ્યોગિક વિકાસને કારણે ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ (GSRDC) હસ્તકના આ રસ્તા પર ટ્રાફિકનું ભારણ ખૂબ વધી ગયું છે. હાલમાં દૈનિક સરેરાશ 43,014 વાહનોની અવરજવરને કારણે ટ્રાફિક જામની સમસ્યા નિવારવા માટે વર્તમાન ચાર-માર્ગીય રસ્તાને છ-માર્ગીય બનાવવાની તાતી જરૂરિયાત ઊભી થઈ હતી, જેના ભાગરૂપે આ મહત્ત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે.
અંદાજિત 805 કરોડના ખર્ચે સાકાર થનાર આ પ્રોજેક્ટમાં કુલ 28.8 કિલોમીટર લંબાઈના રસ્તાને છ-માર્ગીય કરવામાં આવશે. આ મહત્વાકાંક્ષી યોજના અંતર્ગત, 22.731 કિલોમીટરની લંબાઈમાં રસ્તાની બંને બાજુ સર્વિસ રોડનું નિર્માણ કરાશે, જ્યારે 13 નાના પુલોને પહોળા કરવામાં આવશે તથા એક છ-માર્ગીય એલિવેટેડ ફ્લાયઓવર અને એક ત્રણ-માર્ગીય રાઇટ-ટર્નિંગ ફ્લાયઓવરનું પણ નિર્માણ થશે.
આ ઉપરાંત, ઉલારીયા, તેલાવ(બે સ્થળે), સાણંદ GIDC ગેટ અને ખોરજ GIDC ખાતે એમ કુલ પાંચ નવા અંડરપાસ બનાવવામાં આવશે તેમજ પ્રોજેક્ટ માર્ગ સાથે જોડાતા રસ્તાઓ પર 172 જેટલા કલ્વર્ટનું બાંધકામ અથવા નવીનીકરણ કરવામાં આવશે.
આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી સાણંદ અને વિરમગામ જેવાં મોટાં ઔદ્યોગિક કેન્દ્રો ઉપરાંત સુરેન્દ્રનગર, શંખેશ્વર, રાધનપુર અને પાટણ તરફ જતા લાંબા અંતરના ટ્રાફિકને પણ સુવિધા મળશે. આ છ-માર્ગીયકરણની કામગીરીથી પરિવહન સુવિધાઓમાં મોટો વધારો થશે, અકસ્માતો ઘટશે, ટ્રાફિક જામની સમસ્યાનું નિવારણ થશે અને નાગરિકોના ઇંધણ અને સમયની પણ બચત થશે.