
અમરેલીઃ જિલ્લાના સાવરકુંડલા નજીક વાડી વિસ્તારમાં પરિવારની હાજરીમાં બાળકને સિંહ ઉઠાવી ગયો હતો. પરિવારે પોતાના બાળકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સિંહ બાળકને ઉઠાવી ગયો હતો. આ અંગે વન વિભાગને જાણ કરતા વન વિભાગનો સ્ટાફ દોડી આવ્યો હતો. અને બાળકની શોધખોળ આદરી હતી. આ બનાવથી આ વિસ્તારના લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.
અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા વધી રહી છે, વનરાજો હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ લટાર મારી રહ્યા છે. ત્યારે ગુરૂવારે સમીસાંજના સમયે સાવરકુંડલાના ઘનશ્યામનગરમાં શિકારની શોધમાં આવી ચડેલો સિંહ 3 વર્ષના બાળકને ઉઠાવી ગયો હતો. પરિવારજનો સાંજના સમયે વાડીએથી આવી રહ્યા હતા ત્યારે બાળક પણ સાથે જ હતું. આ દરમિયાન પરિવારના સભ્યોની હાજરીમાં નીતિન રાકેશભાઈ મેહડા નામના બાળકને ઉઠાવી ગયો હતો. સાવરકુંડલા વન વિભાગને ઘટનાની જાણ થતાં કાફલો દોડી આવ્યો હતો. વન વિભાગની ટીમે શોધખોળ હાથ ધરતાં મધરાત્રે બાળકનો માથાનો ભાગ અને પગ મળી આવ્યાં હતાં.
વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ સાવરકુંડલામાં સતીષભાઈ લાલજીભાઈ સુહાગિયાની વાડી વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. પરિવારજનોની હાજરીમાં સિંહે બાળકનો શિકાર કર્યો હતો. ધારી ગીર પૂર્વ DCF રાજદીપ સિંહ ઝાલા સહિત સ્થાનિક આર.એફ.ઓ.સહિતના વનકર્મીઓ દ્વારા બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જુદા- જુદા વિસ્તારમાં સિંહને પકડવા માટે પાંજરાં પણ ગોઠવી દેવામાં આવ્યાં છે. જોકે સિંહે બાળકને ઉઠાવી દૂર સુધી લઈ ગયો હતો. વન વિભાગને શોધખોળ દરમિયાન માત્ર બાળકના અવશેષો મળી આવ્યા હતા. હજુ સુધી સિંહ પાંજરે પુરાયો નથી, જેને કારણે લોકોમાં ભયનો માહોલ છવાયેલો છે. સિંહ, દીપડા સહિતનાં વન્ય પ્રાણીઓ જંગલ છોડીને રેવન્યુ વિસ્તારમાં આવી રહ્યાં છે અને અનેક લોકો પર હુમલા કરી રહ્યા હોવાની પણ કેટલીય ઘટનાઓ સામે આવી રહી છે, જેને કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે. શિકારની શોધમાં સિંહ, દીપડા સહિતનાં વન્યપ્રાણીઓ રેવન્યુ વિસ્તારમાં આવી રહ્યાં હોવાનું સામે આવ્યું છે. ત્યારે લોકો પર વન્યપ્રાણીઓના હુમલાની ઘટનાને પગલે રોષ સાથે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. (FILE PHOTO)